યાત્રાધામ અંબાજીમાં છૂટક ધંધો કરતી આદિવાસી બહેનોના રોજગાર અર્થે અંદાજીત રૂ. 20 લાખના ખર્ચે ગ્રામ હાટ ઉભુ કરવામાં આવ્યું છે.
જો કે, અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આ મિલ્કત પર કબ્જો જમાવી તાળા મારી દીધા હતા. જેને લઇ મંગળવારે તાલુકા પંચાયત દાંતા દ્વારા તમામ છ દુકાનોનો કબ્જો લઇ તાલુકા પંચાયતના તાળા મારતાં અંબાજીમાં ચકચાર મચી ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, અંબાજીમાં બસ સ્ટેન્ડની બહારના ભાગે અને ગ્રામ પંચાયતની સામેના જ ભાગે ડી.આર.ડી. એ દ્વારા શ્યામાપ્રસાદ રૂર્બન મિશન યોજના હેઠળ અંદાજીત રૂ. 20 લાખના ખર્ચે ગ્રામ હાટ ઉભુ કરવામાં આવ્યું છે.
જો કે, છ દુકાનો અને ઉપરના ભાગે ક્લસ્ટર હોલ ધરાવતા હાટની દુકાનોને અંબાજી ગ્રામ પંચાયત દ્વારા તાળા મારી દીધા બાદ દુકાનોના શટર પર ગ્રામ પંચાયતની માલિકી હોવાના સ્ટીકર લગાવી દીધા હતા.
જેને લઇ મંગળવારે દાંતા તાલુકા પંચાયત દ્વારા દુકાનોને તાલુકા પંચાયતના તાળાબંધી કરી હક્ક પ્રસ્થાપિત કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી.
આ અંગે દાંતા તાલુકા મિશન મંગલમના એલ.એચ.એમ.અંકિત પંચાલના જણાવ્યા મુજબ, ‘અંબાજીમાં ઉભુ કરેલ ગ્રામ હાટ એન.આર.એલ.એમ. યોજના તળે ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં સખી મંડળ જૂથની બહેનોને રોજગાર કરી શકે અને મેળવી શકે તેવા હેતુથી ઉભુ કરાયું હતું.
પરંતુ આ છ દુકાનો પૈકીની ત્રણ દુકાનોની માંગણી અંબાજી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી હતી જે પ્રોસેસમાં છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા તમામ દુકાનોને તાળા મારી દુકાનમાં પ્રવેશ કરવો નહી તેવા સ્ટીકર મારી દીધા હતા.
જેને દાંતા તાલુકા પંચાયત દ્વારા કબ્જો લઇ લેવામાં આવ્યો છે. બીજી તરફ અંબાજીમાં જ્યારે ત્યારે કેટલાંક દબાણદારોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા શોપિંગ ઉભા કરી વેપારીઓને દુકાનો આપી હતી.
પરંતુ આજે પણ આ વૈકલ્પિક વ્યવસ્થાવાળા વેપારીઓને મળેલ દુકાનો ઉપરાંત માર્ગ પર દબાણ ખુલ્લુ ન કરી બંને તરફનો લાભ ખાટતાં હોવાના ગંભીર આક્ષેપો અંબાજીની પ્રજામાં ઉઠયા હતા.
From-Banaskantha update