ધાનેરા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે જેમાં દંપતીએ જીવ ગુમાવ્યો છે. શંકર દેવજીભાઈ ભરથરી અને મંજુલાબેન નામના દંપતીને બે પુત્રી અને બે પુત્ર એમ ચાર સંતાનો છે.
આ ઘટના શુક્રવારે બની હતી, જ્યારે શંકરભાઈ, મંજુલાબેન અને તેમની પુત્રવધુ તેમના ઘરે હાજર હતા. દંપતી વચ્ચે સાધારણ બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું અને શંકરભાઈએ પિત્તો ગુમાવી ભારે ગુસ્સો આવતા મંજુલાબેનને માથાના ભાગે ધારદાર વસ્તુ વડે માર માર્યો હતો. તે સમયે ત્યાં હાજર પુત્રવધૂ આ જોઈને ગભરાઈ ગઈ હતી અને તેણે તરત જ તેના પતિને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.
મંજુલાબેનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ કમનસીબે તેઓની ઈજા ગંભીર હોવાથી બચી ન શક્યા અને મૃત્યુ પામ્યા. પત્નીના મૃત્યુના સમાચારથી શંકરભાઈને ભારે દુઃખ થયું અને તેઓએ ગુસ્સામાં આવી શું અનર્થ કરી લીધું તેનો પસતાવો થતા તેમણે ગામના તળાવ પાસે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.
ગામના સરપંચે શંકરભાઈના પુત્રને આ ઘટનાની જાણ કરી હતી બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી અને મંજુલા અને શંકરભાઈ બંનેના મૃતદેહને તપાસ માટે ખસેડવામાં આવ્યા છે.
આ દુ:ખદ ઘટના ઘરેલું હિંસાના વિનાશક પરિણામો અને ગુસ્સાને નિયંત્રિત કરવા અને સંઘર્ષોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે મદદ મેળવવી તે કેટલું મહત્વનું છે તે દર્શાવે છે.
From – Banaskantha Update