વાવ તાલુકાના બાલુત્રી ગામની સીમમાંથી પસાર થતી બાલુત્રી માઇનોર-2 માં મંગળવારે સવારે અંદાજે 20 ફૂટનું ગાબડું પડતાં કેનાલના પાણી જીરાના પાકમાં ફરી વળતાં ખેડૂતને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. પંથકમાં વારંવાર કેનાલો તૂટતાં ખેડૂતોને પારવાર નુકશાન વેઠવું પડે છે.
બનાસકાંઠાના સરહદી પંથકમાં કેનાલોમાં પાણી શરૂ થતાં જ અવાર-નવાર કેનાલો તૂટવાના સીલસીલા શરૂ થઇ જાય છે. વાવના બાલુત્રી ગામની સીમમાંથી પસાર થતી બાલુત્રી માઇનોર-2 મંગળવારે વહેલી સવારે રતનશીભાઇ મોતીભાઇ પટેલના ખેતરમાં 20 ફૂટનું ગાબડું પડયું હતું.
જેને લઇ હજારો લીટર પાણી વેડફાયુ હતું. જ્યારે કેનાલના પાણી રતનશીભાઇના 2 એકરમાં કરેલ જીરાના પાકમાં ફરી વળતાં ખેડૂતને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
આ અંગે ખેડૂતોએ અગાઉ પણ તંત્રને રજૂઆત કરી આ મુદ્દે તપાસ કરવા માટે માંગ કરી છે. સરકારે જીલ્લા કક્ષાએ તપાસ માટે હુકમ પણ કરેલા છે પરંતુ અત્યાર સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હોઇ ખેડૂતોને વારંવાર તૂટેલી કેનાલોથી હાલાકીમાં મુકાવું પડી રહ્યું છે.
From-Banaskantha update