માઉન્ટ આબુની બોબી ટોળકીએ નક્કી તળાવ ગાર્ડનમાં નગરપાલિકાના વિપક્ષના નેતા સુનિલ આચાર્ય પર લોખંડના સળીયા અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં આચાર્યને હાથ અને પગમાં ફ્રેક્ચર થયા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
બે વર્ષ બાદ ગિરી મથક પર આયોજીત શરદ મહોત્સવના પ્રારંભના પ્રથમ દિવસે સોમવારે સાંજે લગભગ 6 વાગ્યાના સુમારે શરદ મહોત્સવની તૈયારીઓમાં વ્યસ્ત વિપક્ષના નેતા સુનિલ આચાર્ય પોલો ગ્રાઉન્ડથી નક્કી તળાવ નજીકના વિવેકાનંદ પાર્ક તરફ જઇ રહ્યા હતા.
જ્યાં બોબી ઉર્ફે રાકેશ અગ્રવાલ તેના ભાઇ અને અન્ય 6-7 લોકો સાથે ત્યાં પહોંચ્યા હતા અને આચાર્ય પર હુમલો કર્યો હતો. હુમલા બાદ સુનિલ આચાર્ય પોતાનો જીવ બચાવવા ભાગ્યો હતો. જ્યાં આજુબાજુ હાજર લોકોએ તેને બચાવી લીધો હતો.
આ અંગે વિપક્ષના નેતા સુનિલ આચાર્યએ જણાવ્યું હતું કે, ‘હુમલાખોરોમાં હું માત્ર બોબીને ઓળખું છું. લોકોએ મને મદદ કરી અને મને ગ્લોબલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. મારી સાથે જે થયું તે માઉન્ટ આબુના ઇતિહાસમાં એક કાળો ડાઘ છે. આબુમાં ગુંડાગીરી વધી રહી છે.
બોબી અને તેના ભાઇએ મારા પર રીવોલ્વરથી ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં લાકડીઓ વડે મારા પર હુમલો કર્યો હતો. હું શહેરના લોકો પાસેથી માંગ કરૂ છું કે જો તમે મારી સાથે હોવ તો આબુ બંધનું એલાન આપો.’
આ કેસનો મુખ્ય આરોપી રાકેશ અગ્રવાલ ઉર્ફે બોબી શિરોહી જીલ્લામાં પોતાની ક્રેડીટ સોસાયટી ચલાવતો હતો. બોબી સામે રોકાણકારોના રૂપિયા હડપ કરવાના અનેક કેસ નોંધાયા હતા. આ કેસમાં તેણે 2017 માં માઉન્ટ આબુ
પોલીસની સામે આત્મ સમર્પણ કર્યું હતું. શરણાગતિ સમયે તેણે લોકોના રૂપિયા પરત કરવાનું વચન આપ્યું હતું. બોબી ત્રણ વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ લગભગ એક વર્ષ પહેલાં પેરોલ પર મુક્ત થયો હતો.
From-Banaskantha update