હરિયાણાના હીસારમાં યોજાયેલી રાષ્ટ્રીય એકતા શિબિરમાં ગુજરાત તરફથી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયની કોલેજ ઓફ બેઝીક સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ મહા વિદ્યાલયના 8 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ વિદ્યાર્થીઓએ શિબિરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ગુજરાતની સંસ્કૃતિના દર્શન કરાવી મહા વિદ્યાલયને ગર્વની અનૂભૂતિ કરાવી હતી.
રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત “આર્ત્મનિભર ભારત” વિષય પર રાષ્ટ્રીય એકતા શિબિરનું આયોજન આ વર્ષે ચરણસિંહ ચૌધરી કૃષિ વિશ્વ વિદ્યાલય હરિયાણાના હીસારમાં કરાયું હતું.
આ એકતા શિબિરમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્લી, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઉત્તરાખંડ, આસામ અને મણિપુર એમ કુલ 15 રાજ્યના 200 થી વધુ સ્વયં સેવકોએ ભાગ લીધો હતો.
ગુજરાત તરફથી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયની કોલેજ ઓફ બેઝીક સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ મહા વિદ્યાલયના 4 વિદ્યાર્થીઓ અને 4 વિદ્યાર્થીનીઓની સાથે રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફીસર જલ્પેશ પટેલે એકતા શિબિરમાં ભાગ લીધો હતો.
7 દિવસીય એકતા શિબિરમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે, રંગોળી, પોસ્ટર મેકીંગ, નાટક, નૃત્ય અને ગાયનનું પણ આયોજન કરાયું હતું.
જેમાં જૂદા-જૂદા રાજ્યના સ્વયં સેવકોએ સમાજ અને રાષ્ટ્રને સ્પર્શતા વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી દેશને આત્મ નિર્ભર બનાવવાના વિષયો પર નાટકો બતાવીને સમાજ સુધારણા પર સંદેશાઓ આપ્યા હતા.
વિવિધ રાજ્યના સ્વયં સેવકોએ પોતાનો ભાતીગળ પહેરવેશ ધારણ કરી પોતાની સંસ્કૃતિને રજૂ કરતાં નૃત્યનું પણ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાતનું પ્રતિનિધીત્વ કરતાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના સ્વયં સેવકોએ રાષ્ટ્રીય સ્તરના મંચ પર ગરબાની એવી રમઝટ બોલાવી હતી કે, ત્યાં ઉપસ્થિત સર્વે સ્વયં સેવકો અને અલગ-અલગ રાજ્યના પ્રોગ્રામ ઓફીસરો પણ મંચ પર આવી જઇ ગરબાના રંગમાં ઝૂમતા જોવા મળ્યા હતા.
શિબિરમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયની સ્વયં સેવક રાવલ સચીએ ગૃપ ડાન્સની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવીને વિશ્વ વિદ્યાલયનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું હતું.
કૃષિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો. આર. એમ. ચૌહાણે ગર્વની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘સમગ્ર ગુજરાતમાંથી ફક્ત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓને આ તક મળી હતી.
ઉપરાંત તેમણે ગરવી ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાનો પરચમ રાષ્ટ્રીય ફલક પર લહેરાવવા માટે સ્વયં સેવકો અને રાષ્ટ્રીય સેવા યોજનાના ઓફીસરને બિરદાવ્યા હતા.
નિયામક વિદ્યાર્થી કલ્યાણ ડો. કે. પી. ઠાકર, કોલેજ ઓફ બેઝીક સાયન્સ અને હ્યુમેનિટીઝના આચાર્ય ડો. પી. એચ. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફીસર સાથે મહા વિદ્યાલયના 8 સ્વયં સેવકોએ આ એકતા
શિબિરમાં આનંદ અને ઉત્સાહથી ભાગ લઇ ગુજરાતની સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું તે બદલ સર્વે અધિકારીઓએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. ઉપરાંત પ્રોગ્રામ ઓફીસર અને મહા વિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવકોને અભિનંદન પાઠવ્યા હતા.’
From-Banaskantha update