અમીરગઢમાં આવેલ રામજીયાણીમાં એક ખેતરમાંથી રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ એક ભેંસની ચોરી કરીને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં તસ્કરો હવે એક પછી એક પશુઓની ઉઠાંતરી કરતાં હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના અમીરગઢમાં આવેલ રામજીયાણી (કાળી માટી) ખાતે રહેતાં કાળુભાઇ ભીખાભાઇ પટેલ ખેતી અને પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
તા. 04/12/2021 ના સાંજે પોતાના ફાર્મ હાઉસ પર ભેંસો દોવી દૂધ ડેરીએ ભરાવી પોતાના ઘરે ગયા હતા. બીજા દિવસે તા. 05/12/2021 ના સવારે પોતાના ફાર્મ હાઉસ પર ભેંસો દોવા આવ્યા હતા. ત્યારે તેમના ફાર્મ હાઉસ પર એક ભેંસ જણાઇ ન હતી. જે બાદ આજુબાજુમાં તપાસ કરતાં ભેંસ મળી આવી ન હતી.
જે બાદ કાળુભાઇ પટેલના ફાર્મ હાઉસના બાજુમાં રહેતાં દલશીબેન મગનભાઇ પટેલને ચોરાયેલી ભેંસ બાબતે પૂછતાં તેમને જણાવ્યું હતું કે, ‘રાત્રિના બે વાગ્યાના સુમારે એક પીકઅપ જીપડાલું આવ્યું હતું. જે તમારા ફાર્મ હાઉસ પર આવેલું હતું. પરંતુ અંધારૂ હોવાથી કઇ બરાબર દેખાયું ન હતું.’
તે બાદ કાળુભાઇ પટેલે આજુબાજુના ગામોમાં તપાસ કરી હતી. પરંતુ ભેંસની કિંમત રૂ. 40,000 ની કોઇ ભાળ મળી આવી ન હતી. આ અંગે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update