દાંતાના ગંગવા ગામમાં સાવકી માતા પર પુત્રએ ચારિત્રની શંકા રાખી લાકડાના ધોકા વડે કરપીણ હત્યા કરી છેલ્લા 50 દિવસથી નાસતો-ફરતો હતો. જેને દાંતા પોલીસે પાલનપુરમાંથી દબોચી લીધો હતો. ગંગવા ગામમાં રહેતાં રણજીત લાલાભાઇ વાદીએ પોતાની સાવકી માતા પર ચારિત્રની શંકા રાખી દોઢ માસ અગાઉ માતા સાથે ઝઘડો કરી માતાને ધોકાના ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયો હતો.
જેની ફરિયાદ દાંતા પોલીસ સ્ટેશનમાં નોંધાતાં દાંતા પી.એસ.આઇ. એ.આર.જાદવે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી રણજીત વાદી પાલનપુર કોઝી વિસ્તારમાં મજૂરી કામ કરવા આવ્યો હોવાની પી.એસ.આઇ.ને ખાનગી બાતમી મળી હતી. જેના પગલે પી.એસ.આઇ. એ.આર.જાદવે સ્ટાફના માણસોને સાથે શનિવારે પાલનપુર કોઝી નજીક વોચ ગોઠવી હતી અને આરોપી રણજીત વાદી આવતાંની સાથે કોર્ડન કરી ઝડપી લીધો હતો. આ અંગે દાંતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રણજીત વાદીએ પોતાની સાવકી માતા પર ચારિત્રની શંકા રાખી ઝઘડો કર્યાં બાદ ઉશ્કેરાઇ જઇ લાકડાના ધોકા વડે માતાના પેટ અને હાથના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. જેથી પોલીસે આરોપીને ઝડપી તેને ઘટનાસ્થળે લઇ જવાયો હતો. જ્યાંથી જે ધોકા વડે માતાની હત્યા કરી હતી તેને જપ્ત કરાયો હતો. જેના પર લોહીના નિશાન જોવા મળ્યા હતા.
From-Banaskantha update