બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી કુદરતની કહેર યથાવત જોવા મળી રહી છે. કોરોના વાયરસની મહામારીમાં બે વર્ષ પૂર્ણ થયા બાદ હવે બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ઓછો થવાથી જગતનો તાત ખેડૂત અને બનાસકાંઠાવાસીઓ ભારે ચિંતામાં મૂકાયા છે. ત્યારે ખાસ કરીને બનાસકાંઠા જીલ્લામાં 85 હજાર જેટલાં પશુઓની નિર્વાહ કરતાં ગૌશાળા સંચાલકોની હાલત કફોડી બનવા પામી રહી છે.
[google_ad]
વરસાદ ખેંચાતાં ઘાસચારાના ભાવમાં વધારો થવા પામ્યો છે. રૂ. 4 કિલોમાં મળતું ઘાસ અત્યારે રૂ. 12 કિલોમાં મળી રહી છે. જેના લીધે ગૌશાળામાં પશુઓને ઘાસચારો પૂરો કરવો ગૌશાળા પાંજરાપોળ સંચાલકો માટે કઠીન બની જવા પામ્યું છે. કોરોના વાયરસની મહામારીના કારણે દાતાઓ તરફથી આવતું દાન ગૌશાળા પાંજરાપોળમાં બંધ થઇ જતાં પશુઓની નિર્વાહ ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે અગાઉ પણ ગૌશાળા પાંજરાપોળ લોકોની માંગને ગુજરાત સરકાર દ્વારા ધ્યાનમાં રાખી અને સહાય ચૂકવવામાં આવી હતી. ત્યારે આ વર્ષે પણ વરસાદ ખેંચાતાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને ગુજરાત સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી બુધવારે માંગ સાથે ગૌશાળા પાંજરાપોળના સંચાલકો દ્વારા ડીસા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
[google_ad]
જો સરકાર દ્વારા તાત્કાલીક અસરથી ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને સહાય ચૂકવવામાં નહી આવે તો ગૌશાળા પાંજરાપોળમાં રહેલા પશુઓની હાલત દયનીય બની શકે તેમ છે અને પશુઓ મોતને ભેટી શકે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામી રહ્યું છે. ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા તાત્કાલીક અસરથી બનાસકાંઠા જીલ્લામાં ગૌશાળા સંચાલકોને પશુ દીઠ સહાય ચૂકવવામાં આવે અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
[google_ad]
આ પ્રસંગે બનાસકાંઠા પાંજરાપોળ ગૌશાળા ફેડરેશનના મીડીયા કોર્ડીનેટર જગદીશભાઇ સોલંકી, ટેટોડા ગૌશાળાના દેવાભાઇ પટેલ, શેરપુરા ગૌશાળાના નરસિંહભાઇ અને ડીસા તાલુકાની ગૌશાળા પાંજરાપોળના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
From – Banaskantha Update