સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ
પાલનપુરથી એકટીવા લઇને પોતાના ઘર તરફ આવી રહેલા કાકા-ભત્રીજાને કાણોદર હાઇવે નજીક દોડી આવી રહેલા આખલાએ અડફેટે લેતાં બંને વ્યકિતઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી.
અવાર-નવાર આ માર્ગ ઉપર દિન-પ્રતિદિન રખડતાં પશુઓનો ત્રાસ વધવા લાગ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઇ લોકોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના કાણોદર ગામના અશોકભાઇ ભેમાભાઇ વાઘેલા (દરજી) અને તેમનો ભત્રીજો તનિષભાઇ વાઘેલા પાલનપુરથી પોતાના ઘરે કાણોદર મુકામે આવી રહ્યા હતા.
તે દરમિયાન રાત્રિના સમયે કાણોદર હાઇવે ઉપર આખલાએ એકટીવા સવાર બંને કાકા-ભત્રીજાને અડફેટે લેતાં એકટીવા સવાર નીચે પડી જતાં સદ્દનસીબે બંને વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
જોકે, પાછળથી આવી રહેલ ઇકો ચાલકે સમય સૂચકતા દાખવી બ્રેક લગાવી લેતાં બંને વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. જે સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમરામાં કેદ થઇ હતી.
જોકે, થોડા માસ અગાઉ વડગામ તાલુકાના સીસરાણા ગામના આશાસ્પદ યુવક પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો. ત્યારે ચિત્રોડા નજીક આખલો અથડાતાં યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું.
અવાર-નવાર રખડતાં પશુઓને લઇ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. તેમ છતાં તંત્ર માત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.
આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, ‘પાલનપુરમાં રખડતાં પશુઓને લઇ અનેક લોકો મોતને ભેટયા છે. લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરાઇ નથી.’
From-Banaskantha update