જીલ્લામાં રૂ. 20 કરોડથી પણ વધુ સોના-ચાંદીના દાગીનાનો વેપાર થયો હોવાનું વેપારીઓનું માનવું છે
ડીસામાં શનિવારે ધનતેરસના દિવસે સોના-ચાંદીના બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. 3 વર્ષ બાદ ફરી એકવાર તેજીનો માહોલ થતાં વેપારીઓના ચહેરા પર ચમક જોવા મળી રહી છે અને એક જ દિવસમાં ડીસાવાસીઓએ અંદાજીત રૂ. 7 કરોડથી પણ વધુના દાગીના ખરીદ્યા છે.
3-4 વર્ષ બાદ ફરી એકવાર સોના-ચાંદીની ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ધનતેરસના દિવસે લોકોએ મન મૂકીને દાગીનાની ખરીદી કરી છે.
ખાસ કરીને 2 વર્ષ કોરોના મહામારી અને ત્યારબાદ પણ લોકોના ધંધા-રોજગાર પડી ભાંગતા સોના-ચાંદીના વેપાર પર માઠી અસર પડી હતી.
પણ હવે ધીરે-ધીરે લોકોના ધંધા-રોજગાર થાળે પડતાં સોના-ચાંદીની ખરીદીને લઇ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતાં આ વર્ષે બજારમાં ભારે તેજી આવી છે.
ડીસા અને બનાસકાંઠા જીલ્લાની વાત કરીએ તો કોરોના મહામારી બાદ હવે લોકોના ધંધા-રોજગાર ખૂલતાં અને આ વર્ષે બનાસ ડેરી દ્વારા પણ ગ્રાહકોને 20 ટકા જેટલો નફો ચૂકવતાં તેની સીધી અસર સોના-ચાંદીના બજારમાં તેજી રૂપે જોવા મળી રહી હોવાનું વેપારીઓનું અનુમાન છે.
આ અંગે સોના-ચાંદી હોલસેલના વેપારી મૂળચંદભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘એક અંદાજ મુજબ ડીસામાં ધનતેરસના એક જ દિવસમાં રૂ. 7 કરોડ આસપાસનો વેપાર થયો છે.
જ્યારે પાલનપુરમાં રૂ. 10 થી 12 કરોડ અને બનાસકાંઠા જીલ્લામાં રૂ. 20 કરોડથી પણ વધુ સોના-ચાંદીના દાગીનાનો વેપાર થયો હોવાનું વેપારીઓનું માનવું છે.’
From-Banaskantha update