અગાઉ પણ ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી પણ કરાઇ
ધાનેરા તાલુકામાં રવિ સિઝનમાં વાવણીની શરૂઆત થતાં ધાનેરામાં કેટલાંક ખાતર અને બિયારણના વેપારીઓ પણ ખેડૂતોને લૂંટવાના કારસા સાથે સક્રીય બની ગયા છે અને ખેડૂતોને ડી.એ.પી. ખાતરના
બદલે સરદારના નામે ભળતાં નામથી જે ખરેખર ખાતર નથી તેવું ભટકાવી રહ્યા હોવાની ફરિયાદો ઉભી થવા પામી છે. અગાઉ પણ ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી પણ કરાઇ હતી.
આ અંગે ખેડૂત મગાભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘આવા વેપારીઓ સામે કડક પગલાં લેવા જોઇએ. પરંતુ અધિકારીઓ આવા લોકો સામે કોઇ કાર્યવાહી કરતાં નથી. ઉનાળામાં એક જોરાપુરાના ખેડૂતને બાજરીનું
બિયારણ ખરાબ નીકળતાં તે ખેડૂતે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી હતી અને તે તપાસ પણ અભરાઇએ ચડાવી દેવામાં આવી છે. ખરેખર આ જગતના તાત સાથે ખોટું કરનાર અને તેને છાવરનારને કુદરત ક્યારેય માફ નહી કરે.’
આ અંગે કિસાન આગેવાન જેસુંગભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘જ્યારે પણ બિયારણ કે ખાતરની ખરીદી કરવાની થાય તો સહકારી મંડળીઓ કે તાલુકા સંઘમાંથી જ ખરીદવા જોઇએ.
જેથી કોઇ ડુપ્લીકેટ થવાના પ્રશ્નો ન આવે માટે આવા કોઇ ડુપ્લીકેટ માલ આપતાં હોય તો તેમની સામે પોલીસને જાણ કરવી જોઇએ. જેથી આવા લોકો ખુલ્લા પડે અને બીજા ખેડૂતો લૂંટાતાં બચી શકે.’
From-Banaskantha update