મૃત્યુ પામેલ પશુઓના સહાય માટે અને બચેલા પશુઓના ઘાસચારા માટે વ્યવસ્થા કરવાની માંગણી કરશે
ડીસા તાલુકાના આસેડા ગામમાં લમ્પી વાયરસથી મૃત્યુ પામેલા પશુઓના સહાય માટે આવતીકાલે ગામમાં બંધનું એલાન આપ્યું છે.
ગામના તમામ પશુપાલકો આવતીકાલે ડેરીમાં દૂધ નહીં ભરાવી વિરોધ દર્શાવશે અને મૃત્યુ પામેલ પશુઓના સહાય માટે અને બચેલા પશુઓના ઘાસચારા માટે વ્યવસ્થા કરવાની માંગણી કરશે.
વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે સરકાર સામે આંદોલનરૂપી મુસીબતો અટકવાનું નામ જ લેતી નથી.
જેમાં વધુ એક લમ્પી વાયરસથી મૃત્યુ પામેલા પશુઓની સહાય માટે પશુપાલકોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં લમ્પી વાયરસના કારણે અનેક પશુઓના મોત નિપજ્યા છે.
ડીસા તાલુકાના આસેડા ગામમાં પણ અંદાજીત 300 થી પણ વધુ પશુઓના મોત થતાં પશુપાલકોએ સરકાર સામે સહાયની માંગ કરી છે. જોકે, આ બાબતે કોઇ જ વિચારણા ન થતાં આવતીકાલે આસેડા ગામમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.
તમામ પશુપાલકો એક દિવસ ડેરીમાં દૂધ નહીં ભરાવી પોતાની વ્યથા ઠાલવશે. ગામના સરપંચ આગેવાનો અને પશુપાલકોની માંગ છે કે, ‘આસેડા જેવા નાના ગામમાં 300 પશુઓના મોતથી પશુપાલકોની આજીવિકા છીનવાઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.
ત્યારે સરકાર લમ્પી વાયરસથી અસરગ્રસ્ત અને મૃત્યુ પામેલા પશુઓને સહાય આપે તેવી માંગ છે. તેના માટે આવતીકાલે ગામના તમામ વેપારીઓ અને પશુપાલકો એક દિવસ બંધ પાળી આ અભિયાનમાં જોડાઇને ગામના આંદોલનને સફળ બનાવે તે માટે સરપંચ દ્વારા ગ્રામજનોને અનુરોધ કર્યો છે.’
From-Banaskantha update