રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની અને મહારાષ્ટ્રમાં નિર્મમ હત્યાના વિરોધમાં પાલનપુરના હિન્દુ સમાજના આગેવાનો, વેપારીઓએ સોમવારે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો અને આવા આતંકીઓને જાહેરમાં ફાંસીની સજા કરવાની માંગ સાથે હજારોની સંખ્યામા એરોમા સર્કલથી રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલકેટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર રસ્તા પર માનવ મહેરામણ ઉમટયો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા.
ઉદયપુરમાં દરજીની બે આતંકીઓ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી જે બાદ ફરીથી મહારાષ્ટ્રના અમરાવતીમાં હત્યા કરવામાં આવતા સોમવારે સવારે 10 વાગે પાલનપુરમાં એરોમા સર્કલ નજીક જીડી મોદી કોલેજ આગળ હિન્દુ સમાજના આગેવાનો, જુદા જુદા વેપારી એસો. સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ઉમટી પડ્યા હતા.
વેપારીઓએ પોતાના વેપાર ધંધા સવારે 2 કલાક માટે બંધ રાખી રેલીમાં જોડાયા હતા. અંદાજિત 2 હજાર લોકોની રેલી જયશ્રી રામના નારા લગાવી હત્યારાઓને ફાંસી આપોની માંગ સાથે જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ લોકો તેમાં જોડાઈ રહ્યા હતા. એસટી બસપોર્ટ, જિલ્લા પંચાયત સંકુલ બાદ કલેકટર કચેરીના સંકુલ પાસે રેલી પહુંચતા સૂત્રોચ્ચાર વધી ગયા હતા. પ્રતિનિધિઓએ રાષ્ટ્રપતિને ઉદેશતું આવેદનપત્ર કલેકટર આનંદ પટેલને પાઠવ્યું હતું.
હિન્દુ અગ્રણી ચંદ્રેશ ઠાકરે જણાવ્યું હતું કે, આતંકીઓને જાહેરમાં લટકાવી ફાંસી આપવી જોઈએ તેમજ સરકારે તેવો કાયદો બનાવવો જોઈએ. જ્યારે થરાદ નાયબ કલેકટરને થરાદ તાલુકાના દરજી સમાજ દ્વારા ઉદયપુર હત્યા પ્રકરણને અનુલક્ષીને કસુરવારોને દાખલારૂપ સજા આપવાની માંગણી સાથેનું સોમવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પાલનપુર તાલુકાના સેદ્રાસણ ગામે લઘુમતી સમાજમાંથી આવતા ફેરિયાઓ (વ્યાપારી)ના પાસેથી કોઈ ખરીદી ન કરવી તે કે ગામમાં પ્રવેશ ન કરવા તેવા અજાણ્યા શખ્સોએ બોર્ડ લગાવ્યા હતા. જે બોર્ડને પંચાયતના વહીવટદાર દ્વારા ઉતારી લેવામાં આવેલ છે. તેમજ ગામમાં આવા અન્ય કોઈ બોર્ડ લગાવવામાં આવેલ નથી તેની સ્થળ ચકાસણી કરી વહીવટદારએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જાણ કરવામાં આવી છે તેવું તાલુકા વિકાસ અધિકારી અભિષેક પરમારે જણાવ્યું હતું.
From – Banaskantha Update