રૂ. 7.50 લાખના ખર્ચથી ચોમાસામાં 1.5 કરોડ લીટર પાણી ભૂગર્ભમાં ઉતારાશે
વડગામ તાલુકામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળના ભંડાર સમૃધ્ધ બનાવવા ટીંબાચુડીના ગ્રામજનોએ પહેલ કરી હતી. જેના માટે બનાસકાંઠા કલેક્ટરે સ્પેશ્યલ રૂ. 5,00,000 ની ગ્રાન્ટ અને
ગ્રામજનોએ રૂ. 2,50,000 ફાળો કરી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા રૂ. 7,50,000 ના ખર્ચથી જળ સંચયનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું. જેમાં વરસાદમાં 1.5 કરોડ લીટર પાણી ભૂગર્ભમાં ઉતરશે.
છેલ્લા કેટલાંક સમયથી બનાસકાંઠા જીલ્લામાં ભૂગર્ભ જળ દિવસે-દિવસે ઉંડા જઇ રહ્યા છે. ભૂગર્ભ જળ ભંડારોને સમૃધ્ધ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન
ચલાવીને તળાવો ઉંડા કરવા અને નદીઓના વહેણ સાફ કરવા સહીતની કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઇ વડગામ તાલુકાના ટીંબાચુડીના ગ્રામજનોએ વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા માટે એક પ્રેરણાદાયી અભિયાન આદર્યું છે.
જેના માટે ચોમાસામાં વરસાદનું વહી જતું પાણી જમીનમાં ઉતરે અને ભૂગર્ભ જળ ભંડારો ભરાય તે માટે ટીંબાચુડીના ગ્રામજનોએ ગામના અવાવરૂ કૂવાઓ રીચાર્જ કરવાનું શરૂ કર્યું છે.
પાણીના તળ ઉપર લાવવા ટીંબાચુડીના ગ્રામજનોએ સામૂહીક પ્રયાસો કરીને અત્યાર સુધીમાં 30 જેટલાં કૂવાઓ રીચાર્જ કર્યાં છે.
ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ગામનું પાણી ભૂગર્ભમાં ઉતરે તે માટે ગ્રામજનોએ ગામમાં જળ સંચયનું સ્ટ્રક્ચર બનાવ્યું છે.
આ અંગે ટીંબાચુડી ગામના અગ્રણી કેશરભાઇ શામળભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘અમારા ગામમાં કુલ 1,000 વીઘા ખેતીની જમીન છે અને 270 વીઘા ગૌચરની જમીન છે.
મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોવા છતાં પાણીના અભાવે ખાવા માટે ઘઉં વેચાતા લાવવા પડે છે. સિંચાઇ, ખેતી અને પશુપાલન માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વરસાદના પાણીને ભૂગર્ભમાં
ઉતારી જળ ભંડારો સમૃધ્ધ બનાવવા જરૂરી છે. ખેતરનું પાણી ખેતરમાં રહે, સીમનું પાણી સીમમાં રહે અને ગામનું પાણી ગામમાં રહે તે માટે સરકારના જળ સંચય અભિયાનના સથવારે અમારા ગામે જળ સંચયનું સામૂહીક કામ શરૂ કર્યું છે.’
વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળ સંચય કરવા જૂના પડતર અને અવાવરૂ કૂવાઓ અને બંધ પડેલા ટ્યૂબવેલમાં પધ્ધતિસરની સીસ્ટમ ગોઠવી વરસાદનું પાણી વાળી કૂવાઓ અને ટ્યૂબવેલ રીચાર્જ કરી શકાય છે.
From-Banaskantha update