આ નાળુ તૂટેલો હોવાથી તમામ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા
ડીસા તાલુકાના થેરવાડા ગામમાં આવેલ પ્રાથમિક શાળા નજીક વરસાદના પાણીના નિકાલ માટે નાળુ બનાવેલ છે પરંતુ વર્ષ-2015 માં આવેલ ભયાનક પૂરના કારણે આ નાળુ તૂટી ગયું છે.
જેના સમારકામ કરવા માટે સ્થાનિક લોકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં આ નાળાનું સમારકામ ન થતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામિણ વિકાસ માટે લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં લાઇટ, પાણી અને સારા રસ્તાઓ લોકોને મળી રહે તે માટે દર વર્ષે રાજ્ય સરકાર મોટી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.
પરંતુ આજે કોન્ટ્રાક્ટરો નજીવા રૂપિયા કમાવવાની લ્હાયમાં ગ્રામિણ વિસ્તારોમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ કામો જેમ તેમ કરીને જતાં રહે છે.
જેના કારણે એક બે વર્ષના સમયગાળા દરમિયાન સ્પષ્ટ પડે કોન્ટ્રાકટરો દ્વારા કરેલા કામોની પોલ ખુલી જાય છે.
ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામમાં આવેલ પ્રાથમિક શાળાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે નાળુ બનાવવામાં આવ્યું હતું.
પરંતુ વર્ષ-2015 માં આવેલ ભયાનક પૂરના કારણે આ નાળો વરસાદી પાણીનો માર સહન કરી શક્યું નહી અને વરસાદી પાણીની સાથે નાળુ તૂટીને પાણીમાં જતું રહ્યું થોડા સમય બાદ જયારે પાણીનું વહેણ બંધ
થયો ત્યારે ફરીથી ગ્રામજનો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક તંત્રને નાળુ બનાવવા માટે રજૂઆત કરાઇ હતી પરંતુ સ્થાનિક તંત્ર જાણે વરસાદનું વધારે પડતું પાણી લોકોના ઘરોમાં ઘૂસે તેની રાહ જોઇ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.
વર્ષ-2015 ના વર્ષથી નવુ નાળુ બનાવવા માટે સરપંચથી માંડી સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરાઇ છે. તેમ છતાં પણ હજુ સુધી કોઇ જ પ્રકારની વ્યવસ્થા કરાઇ ન હતી.
તાજેતરમાં જ 2021 માં ભારે વરસાદના કારણે આ નાળુ તૂટેલો હોવાથી તમામ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા. જેના કારણે સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે આ ગામની મુલાકાત લઇ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલીક ધોરણે આ નાળુ તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી છે.
અને જો આવનાર સમયમાં વરસાદના સમયે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ નાળુ તૈયાર કરવામાં નહીં આવે તો મોટી દુર્ધટના થઇ શકે તેમ છે.’
આ અંગે મહાદેવભાઇ વિરાજી બારોટે જણાવ્યું હતું કે, ‘આ નાળાની આજુબાજુના દલિત, વાલ્મિકી અને બારોટના ઘરો આવેલા છે તેના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને ભારે નુકસાન થાય તેવી સંભાવના છે.’
આ અંગે પોપટભાઇ મફાભાઇ વાલ્મીકીએ જણાવ્યું હતું કે, ‘વર્ષ-2015 અને વર્ષ-2017 ભારે વરસાદના કારણે મારા ઘરમાં પાણી ઘૂસી ગયું હતું અને મારી બધી ઘર વખરી તણાઇ ગઇ હતી.
અમને કોઇ ઘર-વખરીનો લાભ મળ્યો નથી. હાલમા ચોમાસુ નજીક આવે છે આ નાળાનું સમારકામ નહી થાય તો અમારા ઘરમાં પાણી ઘૂસે તેવી સંભાવના છે. તાત્કાલીક ધોરણે અધિકારી દ્વારા નાળાનું કામ ચાલુ થાય તેવી માંગ કરી છે.’
આ અંગે દેવાજી રામાજી બારોટે જણાવ્યું હતું કે, ‘થેરવાડા પ્રાથમિક શાળાની પૂર્વે ભાગનું નાળુ તૂટી જતાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. નાળાની બાજુ અમારા 3 ભાઇના ઘર આવેલ છે.
આ નાળુ તૂટી ગયુ છે અને મોટા મોટા ખાડા પડયા છે. તો ચોમાસામાં કોઇ જાનહાની ન થાય તે પહેલાં તંત્ર દ્વારા નાળુ સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે.’
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં વરસાદના આગમન પહેલાં ગ્રામ પંચાયત અને નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન દ્વારા જ્યાં પણ વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની હોય તે કરી દેવામાં આવે છે.
જેના કારણે વરસાદના સમયે તેની અસર લોકોના જીવન પર ન વર્તાય પરંતુ ડીસા તાલુકાના થેરવાડા ગામમાં પરિસ્થિતિ કંઇક અલગ છે.
થેરવાડા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ નાળુ વરસાદના કારણે તૂટી જવા પામ્યું હતું. આ નાળા રીપેરીંગ માટે સ્થાનિક લોકો દ્વારા વહીવટી તંત્રને અનેકવાર રજૂઆત કરાઇ છે.
તેમ છતાં પણ માત્ર સરકારી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે પરંતુ જે બાદ કોઇ કામ કરવામાં આવતું નથી.
આ બાબતે સ્થાનિક લોકોનું માનવું છે કે, ‘વહીવટી તંત્ર અને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય અધિકારીઓ માત્ર તપાસ કરીને જતાં રહે છે.
વર્ષો વીતી ગયા પરંતુ આજદિન સુધી કોઇ જ પ્રકારે નાળા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. ત્યારે આવનાર સમયમાં વરસાદના આગમન પહેલાં વહીવટી તંત્ર દ્વારા આ નાળાનું તાત્કાલીક રીપેરીંગ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.
From-Banaskantha update