નર્મદા કેનાલમાં આત્મહત્યાના વધી રહેલા બનાવોને લઇ ચિંતા
નર્મદા કેનાલમાં પડવાથી અપમૃત્યુના બનાવો પણ વધવા પામ્યા છે. માત્ર 14 માસમાં જ ફાયર ટીમ દ્વારા 41 મૃતદેહ બહાર કઢાયા છે.
થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં સામાન્ય પરિવારથી માંડીને વ્યવસ્થિત ઘરના લોકોએ પણ નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન લીલા સંકેલી લીધી છે.
મૃતદેહ મળ્યા પછી જે થવાનું હતું તે થઇ ગયું તેમ મન વાળીને સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરાવતાં અને પોલીસને જાણ કરતાં પણ લોકો અટકે છે.
એટલું જ નહી સ્થળ પર પોલીસ પહોંચી ગઇ હોય અને પી.એમ.ની તજવીજ હાથ ધરાતી હોય તો પણ કાર્યવાહી કરાવાનો ઇન્કાર કરી મૃતદેહ લઇ જતાં હોય છે.
40 વર્ષથી પાણી સાથે બાથ ભીડનાર નગરપાલિકાના ઝાંબાજ તરવૈયા સુલતાનભાઇ મીરે અત્યાર સુધીમાં સરહદી પંથક સહીતના વિસ્તારોમાંથી 1400 જેટલાં કુલ મૃતદેહો નદી, તળાવ, કૂવા અને કેનાલમાંથી બહાર કાઢ્યા છે.
જેમાંથી અડધા મૃતદેહો કેનાલમાંથી નીકાળવામાં આવ્યા છે. તેમને કોઇપણનો કોલ આવે તો તેઓ તાત્કાલીક કેનાલ પર દોડી જતાં હોય છે અને મૃતદેહ કાઢીને પરિવારને સોંપતા હોય છે.
મૃતદેહો અંગે થરાદ પોલીસને જાણ પણ કરાઇ નથી. પરંતુ ફાયરમેન વિરમભાઇ રાઠોડે 14 માસમાં જ આવેલા કોલનો આંકડો આપતાં જણાવ્યું હતું કે ‘તેમને તા. 1 એપ્રિલ-2021 થી આજ સુધીમાં 135 કોલ આવ્યા છે. જેમાં મૃતદેહો અંગેના 41 છે. જો કે, 2 વ્યક્તિઓને જીવિત પણ બચાવી શકાયા છે.’
From-Banaskantha update