ડીસાના આકાશવિલા સોસાયટીમાં ગત મોડી રાતે અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી મકાનમાંથી સોના, ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત અદાજીત 1 લાખ ઉપરાંતની ચોરી થતા તાત્કાલિક મકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ના હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે આજે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. ડીસાના આકાશવિલા સોસાયટીમાં રહેતા શૈલેષકુમાર મયારામ પંડ્યા પોતાના પરિવાર સાથે ઘરની આગળ ઓસરીમાં સૂતાં હતાં.
તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી મકાનના પાછળના ભાગે દરવાજાના નકૂચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. જે બાદ ઘરમાં પડેલ તિજોરીના લોક તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત અંદાજિત એક લાખ ઉપરાંતની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
જે બાદ શૈલેષકુમાર પંડ્યા જ્યારે સવારે જાગી ઘરમાં પ્રવેશ કરતા ઘરમાં સામાન વેરવિખેર જોવા મળેલ અને તપાસ કરતા તિજોરીના લોક પણ તૂટેલી હાલતમાં જોવા મળેલ અને તિજોરીમાં પડેલ દાગીના અને રોકડ રકમ પણ જોવા મળેલ નહિ અને પોતાના ઘરમાં ચોરી થયા હોવાનું જાણ થતાં તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરાઇ હતી જે બાદ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
From – Banaskantha Update