દિયોદરના ચમનપુરા ગામની પરિણીતા મંગળવારે સવારે બે દિકરીઓ સાથે દિયોદર ખરીદી કરવાનું કહી નીકળી હતી. ત્યારે લુદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી.
દિયોદર તાલુકાના જાડા ગામે પિયર ધરાવતી ચમનપુરા ગામની પરિણીત પ્રભાબેન મહેશભાઈ જોશી મંગળવારે સવારે પોતાના સાસરે ચમનપુરા ગામેથી બે દીકરીઓ સંધ્યા (ઉં.વ.6) તથા શ્રદ્ધા (ઉં.દોઢ વર્ષ) સાથે દિયોદર ખરીદી કરવાનું કહી નીકળી હતી. ત્યારબાદ પરિણીતા તેણીની બે પુત્રીઓ સાથે લુદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર છલાંગ લગાવી હતી.
જે અંગેની જાણ થતાં ઘટના સ્થળે લોકો ઉમટયા હતા. ત્યારે તરવૈયાઓ દ્વારા માતા અને બંને પુત્રીઓની લાશ બહાર નિકાળવામાં આવી હતી. જ્યારે માતા અને બંને પુત્રીઓના ચમનપુરા ગામે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનાનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું હતું. મૃતક ચમનપુરા ગામના પ્રભાબેન મહેશભાઈ જોશી, પુત્રી સંધ્યા અને પુત્રી શ્રદ્ધાનું કરૂણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી.
From – Banaskantha Update