પરંપરાગત ખેતી છોડીને ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના આકેડી ગામના એક યુવા ખેડૂતે પણ ખેતીમાં કંઇક નવું કરવાના ઇરાદે તાઇવાન પપૈયાની સફળ ખેતી કરી છે.
તાઇવાન પપૈયાની કુલ 4 એકરમાં ખેતી કરનાર શૈલેષભાઇ ચૌધરીએ રૂ. 2,50,000 જેટલો ખર્ચ કર્યો છે. પપૈયાના રોપા લાવવાથી લઇને કરેલા અન્ય ખર્ચના બદલે તેમને લગભગ રૂ. 15,00,000 થી વધુની કમાણી થવાની આશા છે. 16 થી 18 માસની આ ખેતીમાં એક જ વાર ખેડ અને રોપાનો ખર્ચ આવતો હોય છે.
પાલનપુર તાલુકાના આકેડી ગામના યુવા ખેડૂત શૈલેષભાઇ ચૌધરી અગાઉ પરંપરાગત ખેતી કરતા હતા. પરંતુ મિત્રને ત્યાં તાઇવાન પપૈયાની બાગાયતી ખેતી જોઇને પોતાના ખેતરમાં તાઇવાન પપૈયા વાવવાનો વિચાર આવ્યો હતો.
જેથી 4 એકર જમીનમાં તેમણે 4,500 પપૈયાના રોપા લાવીને ખેતીની શરૂઆત કરી હતી. જેમાં તેમને રૂ. 2,50,000 નો કુલ ખર્ચ થયો હતો.
શૈલેષભાઇ ચૌધરીએ ખેતરમાં પપૈયાના રોપાનું વાવેતર કરી સારી એવી માવજત કરી હતી. જો કે, તેમને વાઇરસને કારણે તકલીફ પડી હતી. પરંતુ માર્કેટમાં ભાવ સારા હોવાને કારણે તેમને સારો એવો ફાયદો થયો હતો.
બાગાયતી ખેતીમાં સામાન્ય ખેતી કરતાં આવક સારી રહે છે. પપૈયાની ખેતીનો પાક 16 થી 18 માસનો હોય છે. જેથી એક જ વાર ખેડ અને બિયારણનો ખર્ચ થાય છે. જ્યારે સામાન્ય ખેતીમાં તે ખર્ચ વધી જાય છે.
આ અંગે યુવા ખેડૂત શૈલેષભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘અગાઉ જમીનમાં રાયડો અને ઘઉં જેવા પાકોની ખેતી કરતા હતા. ધીરે ધીરે ટેક્નોલોજી વધી એને કારણે મગફળી અને બટાકા જેવું વાવેતર કરવા લાગ્યા હતા. મિત્રોને ત્યાં પપૈયાનું વાવેતર મેં જોયેલું જે મને ગમ્યું હતું.
કારણ કે, ખેતી સિવાય બીજો ધંધો કરવો હોય અને જો પપૈયા વાવેલા હોય તો તમને સમય મળે છે. સિઝન લાંબી ચાલતી હોવાથી પપૈયાનો વિચાર આ વર્ષથી જ કર્યો હતો. એમાં મને અન્ય ખેતી પાકો કરતાં સારૂ એવું વળતર મળી રહ્યું છે. પપૈયાની ખેતીમાં પાણીની ખૂબ જ જરૂર પડે છે.
મગફળી અને બટાકા વાવવાથી વારંવાર ખેડનો ખર્ચો લાગતો હોય છે. ખાતર અને બિયારણ પણ મોંઘા હોય છે. પપૈયાની ખેતી લાંબા સમય સુધી ચાલતી હોય એટલે ખાતર પણ ઓછું વાપરવાનું હોય છે.
જેથી ખર્ચો ઓછો થાય છે. સારા ભાવ મળે છે. આ વખતે મને બીજા પાકોની જગ્યાએ પપૈયાનું વાવેતર નફાકારક સાબિત થયું છે. 4,500 જેટલાં પપૈયાના છોડ વાવવામાં રૂ. 2,50,000 સુધીનો ખર્ચો થયો છે.
પપૈયાના છોડથી લઇને ખાતર અને બિયારણ સુધીની સિઝન પૂરા થવા પર છે. ત્યારે રૂ. 15,00,000 ની કમાણી થશે. વાઇરસ ન નડયો હોત તો રૂ. 20,00,000 ની પણ આવક થઇ શકી હોત. જેથી ખેડૂતોને પપૈયાની ખેતી લાભની ખેતી સાબિત થઇ શકે છે.’
From-Banaskantha update