વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે ગુરૂવારે ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન તથા રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કરી હતી. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર.કે.પટેલ દ્વારા ગૃહ રાજ્ય મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અંબાજી મંદિરના પૂજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતું.
મંત્રીએ અંબાજી ખાતેની મુલાકાત દરમિયાન સ્ટોન આર્ટીઝન પાર્કની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાર્ક દ્વારા શિલ્પકળા અને પત્થરકળા ક્ષેત્રે રાજ્યમાં આ ઉદ્યોગમાં રહેલી વિપુલ સંભાવનાઓનો ઉપયોગ કરી આ મુલ્યવાન વારસાને આગળ ધપાવવા આરસ પત્થરોને કંડારવાની તાલીમ આપવામાં આવે છે.
આ ઉપરાંત મંત્રીએ અંબાજી ગબ્બર વિસ્તારમાં ભરથરી સમાજના 33 લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનતા મકાનોની મુલાકાત લીધી હતી. મંત્રીએ 51 શક્તિપીઠ પરિસર અને અંબાજી ગબ્બર ખાતે તાજેતરમાં કાર્યરત થયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શોની પણ મુલાકાત લીધી હતી.
From – Banaskantha Update