થરાદના જેતડામાં એક પતિએ પોતાના 2 ભાઇઓની ચઢામણીથી પોતાની પત્ની પાસે દહેજ માંગી કાઢી મુકી હતી. તે પૂર્વે તેણીને ગોળી ખવરાવીને ભૃણહત્યા પણ કરી હતી. થરાદ પોલીસે ફરિયાદના આધારે ત્રણ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદ તાલુકાના જેતડા ગામની ચેતનાબેનના લગ્ન મેહુલભાઈ અજાભાઈ વાઘેલા સાથે થયાં હતાં. જેઠ દુદાભાઈ અજાભાઇ તથા વક્તાભાઈ અજાભાઇએ દહેજ માટે પતિને ચડામણી કરી તારા બાપના ઘરેથી દહેજમાં પૈસા લઈ આવ તેમ કહી માનસિક માનસિક ત્રાસ આપતા હતા. આથી તેણીના પિતાએ ખેતર વેચીને 5 લાખ રૂપિયા દહેજ પેટે પતિને આપ્યા હતા. ત્યાર બાદ ફરીથી પતિએ તેણીને તેના બાપ પાસેથી 25 લાખ રૂપિયા દહેજમાં લઈ આવ નહીતર મારે રાખવી નથી તેમ કહી મારઝુડ કરી ગર્ભપાતની ગોળી આપી ગર્ભપાત કરાવી દીધો હતો.
આથી સતત બ્લીડીંગ અને ચાર-પાંચ દિવસ દુઃખાવો થતાં દવાખાને પણ લઇ ગયો ન હતો અને ઉલટાનું પતિએ દહેજના પૈસા લાવવાની માંગણી ચાલુ રાખી હતી. તેમજ 10 દિવસ પહેલાં બંને જેઠની ચઢામણીથી ગડદાપાટુનો માર મારી પહેરે કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. આ બનાવ અંગે થરાદ પોલીસે પતિ મેહુલભાઈ અજાભાઈ વાઘેલા અને બે જેઠ દુદાભાઈ અજાભાઇ તથા વક્તાભાઈ અજાભાઇએ ત્રણ સામે દહેજ પ્રતિબંધ અધિનિયમ તથા શારિરીક માનસિક ત્રાસ અને ભૃણહત્યા સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
From – Banaskantha Update