શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર બિંદુ સમાન વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં શુક્રવારથી ત્રિ-દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. ત્યારે તા. 08 થી તા. 10 એપ્રિલ દરમિયાન અંબાજીમાં ભવ્ય નજારો જોવા મળશે.
શુક્રવારે વહેલી સવારે અંબાજી ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો સંતો-મહંતોની ઉપસ્થિતિમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આનંદ પટેલે પ્રારંભ કરાવ્યો હતો.
આ અંગે કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ‘તા. 08 થી તા. 10 એપ્રિલ સુધી અંબાજી ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠ મહા પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે.આપણે જાણીએ છીએ કે, ભારતભરમાં અને આપણા પડોશી દેશોમાં શક્તિ રૂપે માતાજી બિરાજમાન છે.
તેવા અલગ-અલગ શક્તિપીઠોનું અંબાજી ગબ્બરમાં 2.5 કિ.મી.ની લંબાઇમાં નિર્માણ કરવામાં આવેલું છે. આદિજાતિ સમાજ સહીત અલગ-અલગ સંપ્રદાયના માઇભક્તો આ પરિક્રમા મહોત્સવમાં જોડાઇ રહ્યા છે.’
અંબાજીમાં શરૂ થયેલા 51 શક્તિપીઠના પરિક્રમમાં ઉત્સવને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટવીટ કર્યું હતું અને જણાવ્યું હતું કે, ‘ગુજરાતના અંબાજી મંદિરમાં ભક્તો માટે શુભ અવસર આવ્યો છે.
શુક્રવારે રાત્રે 7:00 વાગ્યાથી અહીં 51 શક્તિપીઠો પરિક્રમા ઉત્સવ શરૂ થઇ રહ્યો છે. જેમાં આપણા પુરાણોની રસપ્રદ પ્રસ્તુતિ સાથે જોડાયેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ સામેલ છે. હું તમને બધાને આ ભવ્ય ધાર્મિક વિધીનો ભાગ બનવા વિનંતી કરૂ છું.
અંબાજી ગબ્બરમાં મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે સમગ્ર રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં માઇભક્તો આ પરિક્રમામાં જોડાય તેવી અપિલ કરૂ છું.’
From-Banaskantha update