બનાસકાંઠા જિલ્લો પહેલેથી જ ખેતી તેમજ પશુપાલન પર આધારિત જિલ્લો માનવામાં આવે છે. ત્યારે પેપરાલ ગામના ખેડૂતે પોતાની આગવી કોઠાસૂઝથી પોતાની જમીનમાં ઓર્ગેનિક ખારેકનું વાવેતર કરી વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે. બનાસકાંઠાના ખેડૂત ખેતી ક્ષેત્રે નવા નવા અખતરા કરી ખેતી ક્ષેત્રે મબલખ આવક મેળવી રહ્યા છે.
બનાસકાંઠાના લાખણી તાલુકાના પેપરાળ ગામનાં પટેલ જગતાભાઈ ખેડૂતે બાગાયતી ખેતી દ્વારા 70 વર્ષ સુધી આવક મળે તેવું નક્કર આયોજન કર્યું પરંપરાગત જુની ખેતી પદ્ધતિ છોડી આધુનિક ખેતી અપનાવી વર્ષે લાખોની રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
જગતાભાઈ તેઓ પોતાનાં ખેતરમાં વર્ષોથી ચીલાચાલું ખેત પધ્ધતિથી ખેતી કરતાં હતાં. જેમાં ઉનાળા અને ચોમાસામાં બાજરી, જુવાર તથા શિયાળામાં રાયડો, એરંડા, ઘઉં, જીરૂ વગેરે પાકોની ખેતી કરતાં હતાં. તેમણે કહ્યું કે મને શરૂઆતથી નવી ખેતી કરવાનો શોખ જાગતા અમે ઓર્ગેનિક ખારેકનું વાવેતર કર્યું.
મહત્વનું છે કે, ખારેક પાકના વાવેતરમાં એક વાર વાવ્યા પછી 100 વર્ષનું તેનું આયુષ્ય હોય છે અને 70 વર્ષ સુધી એકધારી સારી આવક આપે છે. ખારેકના 50 છોડે એકવાર ખારેક વાવવામાં આવે છે. જેનાથી ફેબ્રુઆરી માસમાં બીટી કપાસની જેમ જ ફલીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે. શરૂઆતના 1 વર્ષમાં એક છોડ 100 કિલો અને પછી 200 કિલો સુધીનો ઉતારો આપે છે. આ ખારેક બજારમાં હોલસેલના ભાવે રૂ.50 અને છૂટકમાં રૂ.80થી 100 પ્રતિ કિલો વેચાય છે. એક છોડ સરેરાશ રૂ.5 હજારની આવક આપે છે. એટલે 125 છોડમાંથી રૂ.10 લાખની આવક મળવાની ધારણા છે.
બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોએ કૃષિક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. ખેડૂતોને વિવિધ રીતે સહાય કરવામાં રાજ્ય સરકારે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. ખેતીના વ્યવસાયને એક મજૂરી સાથે જોડવામાં આવે છે. લોકો એવું સમજે છે કે ખેતી એટલે કાળી મજૂરી અને બદલામાં ખાસ વળતર નહીં. ત્યારે ગુજરાતના આવા કેટલાક ખેડૂતોએ આ વ્યાખ્યાને બદલી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
From – Banaskantha Update