બહુ મોટા ઉપાડે પાછલા કેટલાય મહિનાઓથી એરોમા સર્કલ મુદ્દે લડતના મંડાણ થયા હતા તે એરોમા સર્કલ પર હવે ઓવરબ્રિજ નહિ બનાવવાનો સરકારે નિર્ણય કર્યો છે. અગાઉ ઓવરબ્રિજના નિર્માણ માટે બજેટમાં 100 કરોડ રૂપાણી સરકારે ફાળવ્યા હતા. તેવામાં આવનારા 10 વર્ષના ટ્રાફિકને જોતા બાયપાસની વધુ જરૂરિયાત કોઈ ઓવરબ્રિજ માટેનો વિચાર હાલ પૂરતો માંડી વાળવામાં આવ્યો હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું.
હવે જગાણાથી ખીમાણા બાયપાસ માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફિઝિકલ સર્વેમાં રોડમેપ ચકાસી બાયપાસના રૂટમાં તળાવો વ્હોળા ખેતર સહિતની જગ્યાઓની માપણી કરવામાં આવનાર છે જેને લઈ સરકાર દ્વારા એજન્સી પણ નિમવામાં આવી છે. પાલનપુર શહેરમાંથી ટ્રાફિકની સમસ્યા સહેજ પણ હળવી થઈ નથી ઊલટાનું કેટલાક રસ્તાઓ ઉપર ડાયવર્ઝન આપેલું હોવાથી તમામ વાહન વ્યવહાર એરોમા સર્કલ પર આવતા અને ડીસા હાઈવે અને આબુ હાઇવે પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે.
26મી જાન્યુઆરીએ વિધિવત બાયપાસ માટેની માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જાહેરાત કરતા શહેરીજનોને લાગ્યું હતું કે પાલનપુરને એક સાથે બાયપાસ અને ઓવરબ્રિજની બે ભેટ મળશે એમ લાગ્યું હતું પરંતુ ઓવરબ્રિજ માટેનો સમગ્ર પ્રોજેક્ટ હાલ પડતો મુકાયો હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું છે.
અગાઉ જે 100 કરોડનું ફંડ ઓવરબ્રિજમાં વાપરવામાં આવનાર હતું તે હવે બાયપાસ માટે ખર્ચવામાં આવશે. શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 27ના એરોમા સર્કલ પર દરરોજ કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે. ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારે 380 કરોડના પ્રોજેકટની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જે મંજૂરીમાં સરકારે 300 કરોડના ખર્ચે પાલનપુર જગાણાથી ખેમાણા ટોલનાકા પહેલા 24.813 કિલોમીટર લાંબો બાયપાસ રોડનું નિર્માણ પાછળ જ્યારે જમીન સંપાદન માટે 80 કરોડની રાજ્ય સરકારે ફાળવણી કરી હતી. બીજી બાજુ ઓવરબ્રિજ માટેનો સમગ્ર પ્રોજેક્ટ હાલ પડતો મુકાયો હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે “બાયપાસ માટેના ફિઝિકલ સર્વે માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા સપ્તાહ પૂર્વે એ પૂર્ણ કરવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા એજન્સી નિમવામાં આવી છે જે આ મહિનાના અંતિમ સપ્તાહમાં સર્વેની કામગીરી જગાણા ગામથી શરૂ કરી ખીમાણા ગામ સુધી કરશે. અંદાજિત 10 થી 12 દિવસ સુધી આ સર્વે કામગીરી ચાલશે જેમાં ટ્રેકમાં આવતા ખેતર, નદી, તળાવ, આરોહ, અવરોહ, ઢોળાવ ઇત્યાદિનું માર્કિંગ કરી સાધનિક દસ્તાવેજ તૈયાર કરવામાં આવશે.”
From – Banaskantha Update