બનાસકાંઠામાં દાંતા રાજવીની હવેલીના પ્રથમ માળે આવેલા માતાજીના રૂમની બારી તોડી અજાણ્યા શખ્સે તિજોરીમાં પડેલી રોકડ રકમ તેમજ ચાંદીનો દિવો મળી કુલ રૂપિયા 9.70 લાખના મુદ્દામાલની ચોરી કરી મંગળવારે રાત્રે ફરાર થઇ ગયો હતો. આ અંગે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ હાથ ધરી હતી. આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.
દાંતા સ્ટેટના રાજવી પરમવિરસિંહજી રધુવિરસિંહજી પરમાર તેમના પરિવાર સાથે રધુવિરવીલા પેલેસમાં રહે છે. મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સો હવેલીમાં પ્રવેશ કરી માતાજીના રૂમની લોખંડની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
જ્યાં મુકેલી તિજોરીનું લોક તોડી અંદર પડેલા રાયડા વેચાણના રૂપિયા 9,50,000 રોકડા તેમજ રૂપિયા 20,000નો મંદિરના ગોખમાં મુકેલો ચાંદીનો દિવો 300 ગ્રામ મળી કુલ રૂપિયા 9,70,000ના મુદ્દમાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે ચોરી થઇ હોવાની જાણ થતાં પરમવિરસિંહજીએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડોગ સ્કવોર્ડની મદદથી તસ્કરોનું પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી છે. ચોરીના બનાવથી પોલીસ દોડતી થઈ ગઈ છે.
From – Banaskantha Update