ગુજરાતભરમાં વીજળીને લઈ ખેડૂતો દ્વારા તીવ્ર આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો દ્વારા આઠ કલાક વીજળી આપવાના મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે. અગાઉ પણ આ રીતે ખેડૂતોએ આંદોલન કરીને આઠ કલાક વીજળીની માંગ કરી હતી અને સરકાર દ્વારા આ માંગણીઑ સંતોષવામાં આવી હતી.
પરંતુ ત્યારબાદ આંદોલન સમેટાયા બાદ ખેડૂતોનો આ પ્રશ્ન યથાવત રહેતો આવ્યો છે. ત્યારે આ વખતે કોંગ્રેસના નેતા અને ડીસાના પૂર્વ ધારાસભ્યએ પ્રથમવાર આગળ આવીને સરકારને ચીમકી આપી છે. ગોવાભાઇ દેસાઇએ જણાવ્યુ છે કે સરકાર દ્વારા દર વખતે ખોટા વાયદા આપીને આંદોલન સમેટવાના પેંતરા રચી દેવામાં આવે છે.
પરંતુ આ વખતે સરકાર દ્વારા જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો બનાસકાંઠા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ પર તાળાબંધી કરવામાં આવશે અને આખા બનાસકાંઠા જીલ્લામાં આગ લાગશે. બધું બળીને ખાખ થઈ જશે અને તેના માટે જવાબદાર સરકાર રહશે. ગોવાભાઇ દેસાઇ અગાઉ પણ જલદ આંદોલન કરી ચૂક્યા છે અને આજે એકવાર ફરી સરકાર સમક્ષ જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે શું સરકાર ખેડૂતોના આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવશે કે પછી ગોવાભાઇ ખેડૂતોની વીજળીની સમસ્યાને લઈ નવું આંદોલન જન્મ લેશે તે આવનારા સમયમાં જોવાનું રહ્યું…!
From – Banaskantha Update