અમીરગઢ વિસ્તારમાં ખેતી માટે વીજ પુરવઠો અનિયમિત અને પૂરતા પ્રમાણમાં ન મળતાં ખેડૂતો વીજ કચેરીમાં પહોંચી રજૂઆત કરી હતી અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચિમકીઓ આપી હતી.
અમીરગઢ તાલુકામાં ખેતી માટે વીજ પુરવઠો અપૂરતો અને અનિયમિત મળવાની બૂમો ઘણા સમયથી ઉઠી રહી છે. આના માટે મુશ્કેલીમાં મૂકાયેલા ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે.
તેમ છતાં પરિણામ શૂન્ય છે. પોતાનો પાક બગડતો હોવાથી કંટાળેલા મંગળવારે ખેડૂતો મોટી સંખ્યામાં ઇકબાલગઢ આવેલ યુ.જી.વી.સી.એલ.ની ઓફીસ ઘસી આવ્યા હતા. જય જવાન જય કિસાનના નારાઓથી કચેરી ગજવી હતી.
અમીરગઢ વિસ્તારમાં વીજ પુરવઠાથી માત્ર 6 કલાક આપવામાં આવી રહ્યો છે અને એ પણ રાત્રિના 12:00 અને 2:00 વાગ્યાના સમયે આપવામાં આવે છે. જેથી 6 કલાકમાં ખેડૂતોને પિયત પૂરતું થતું નથી અને પણ મુરઝાઇ રહ્યો છે.
દર વર્ષે તૈયાર પાક પર કમોસમી માવઠા જેવી કુદરતી આફત આવતાં ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. ત્યારે હવે અપૂરતા અને અનિયમિત વીજ પુરવઠાથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.
પહેલાં પણ કિસાન સંઘ દ્વારા રજૂઆત કરાઇ હતી અને 2 દિવસમાં ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આપવાનું આશ્વાસન આપવામાં આવતાં ખેડૂતો પરત ફર્યાં હતા.
પરંતુ તેઓની સમસ્યા ઉકેલવામાં ન આવતાં મંગળવારે 15 ગામના ખેડૂતો કચેરીમાં ઘસી આવ્યા હતા અને પૂરતા વીજ પુરવઠાની મજબૂત રજૂઆત કરી હવે પછી ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ સાથે ધરણાં યોજાવાની ચિમકી આપી હતી.
મોટી સંખ્યામાં આવેલા ખેડૂતોને ઇકબાલગઢ કચેરીના અધિકારીએ ઉપરની ઓફીસમાં રજૂઆત મોકલી તેઓની સમસ્યાનું નિરાકરણ લાવવાની એકવાર ફરી આશ્વાસન આપ્યું હતું.
From-Banaskantha update