બનાસકાંઠા જીલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને ધાનેરા બનાસ ડેરીના ડીરેક્ટર જોઇતાભાઇ પટેલે પાણીના પ્રશ્નોને લઇ સોમવારે નિવેદન આપ્યું છે. સરકાર દ્વારા જીલ્લાના ખેડૂતોને પાણી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન થશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
બનાસકાંઠા જીલ્લો એ વર્ષોથી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો જીલ્લો છે. મોટાભાગના લોકો વર્ષોથી ખેતી અને પશુપાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જીલ્લામાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. પરંતુ બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને ખેતી કરવા અને પીવા માટે સમયસર પાણી મળી રહે તે માટે જીલ્લામાં નર્મદાની નહેર બનાવવામાં આવી હતી.
પરંતુ આજે પણ બનાસકાંઠા જીલ્લામાં એવા અનેક તાલુકાઓ છે કે, જ્યાં ખેડૂતોને ખેતી અને પીવા માટે પાણી મળતું નથી. જેના કારણે અવાર-નવાર પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
ત્યારે ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જીલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં નહીવત વરસાદના કારણે પાણીની આવક થઇ ન હતી. જેના કારણે હાલ આ ત્રણેય જળાશયોમાં પાણી વગર તળીયા દેખાઇ રહ્યા છે.
જેથી ડેમ આધારીત ગામડાઓમાં આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. આ બાબતે ખેડૂતોએ અને સ્થાનિક લોકોએ પાણીની સમસ્યા હલ કરવા માટે અનેકવાર આંદોલનો કર્યાં છે તેમ છતાં સરકાર દ્વારા હજી સુધી પાણીની કોઇ જ વ્યવસ્થા કરાઇ નથી.
અત્યારે ઉનાળા ઋતુની શરૂઆત થતાંની સાથે જ પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. ત્યારે હજુ આગામી સમયમાં ઉનાળો વિતાવાનો બાકી છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલીક પાણીની સુવિધા પુરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ત્યારે સોમવારે આ બાબતે ધાનેરા બનાસ ડેરીના ડીરેક્ટર અને ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલે પાણીના પ્રશ્નને લઇને પોતાનું નિવેદન આપ્યું હતું.
આ અંગે ધાનેરા બનાસ ડેરીના ડીરેક્ટર અને ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પાણીના પ્રશ્નોને લઇ સરકારનો વિરોધ કરી રહ્યા છે.
ત્યારે સરકાર તાત્કાલીક ધોરણે ખેડૂતોનું સાંભળી અને પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે જરૂરી છે. ત્યારે આગામી સમયમાં જો સરકાર દ્વારા પાણીના પ્રશ્નનો નિકાલ નહી લાવવામાં આવે તો પાણીના મુદ્દે ઉગ્ર આંદોલન થશે તેવું જોઇતાભાઇ પટેલે જણાવ્યું હતું.’
From-Banaskantha update