બનાસકાંઠામાં કોરોનાની બીજી લહેરમાં જીવના જોખમે નર્સે 500 પ્રસૂતિ કરાવી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેર જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં પ્રસરી હતી. ત્યારે એક બાજુ દર્દીઓના એકબાદ એક મોત થઇ રહ્યા હતા. ખાનગી હોસ્પિટલોમાં પ્રસૂતિના કેસો કોઇ તબીબ લેવા તૈયાર ન હતા. ત્યારે પાલનપુર તાલુકાના ગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નર્સ જીવના જોખમે ફરજ ઉપર હાજર રહી એટલું જ નહી પ્રસૂતાના ઘરે જઇને પણ 500 પ્રસૂતીઓ કરાવી માતા અને બાળકોના જીવ બચાવ્યા હતા.

 

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેરની સૌથી મોટી અસર ગ્રામિણ વિસ્તારોમાં થઇ હતી. લોકડાઉનની સ્થિતીમાં પ્રસુતા મહિલાઓની વ્હારે આરોગ્ય વિભાગની પરિચારિકાઓ આવી હતી. જેમાં પાલનપુર તાલુકાના ગઢ પીએસસીઆ ફિમેલ હેલ્થ વર્કર મધુબેન ચૌધરી પ્રસુતા બહેનો માટે દેવદૂત બન્યા હતા. આ અંગે મધુબેન ચૌધરીએ જણાવ્યું કે, જે સમયે લોકો એકબીજાને સ્પર્શ કરતા ડરતાં હતા. ત્યારે પણ મે બહેનોની લાગણીસભર સુવાવડ કરાવી છે.

લોકડાઉન વખતે એવો પણ સમય આવ્યો હતો કે, મારા પેટા કેન્દ્ર સિવાય બીજે ક્યાંય આરોગ્યની સેવા મળતી ન હતી. આમ સામાન્ય રીતે મહિનામાં 15થી 17 સુવાવડ થતી જોકે, કોરોનાકાળમાં ગાયનેક હોસ્પિટલો બંધ હોવાથી પેટાકેન્દ્રમાં જ 25થી 30 પ્રસૂતિઓ કરવામાં આવી હતી. બીજી લહેરમાં 500 પ્રસૂતા બહેનોની ડિલેવરી કરાવી માતા-બાળકોના જીવ બચાવ્યા હતા.

 

પાલનપુરના મડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગઢ પેટાકેન્દ્ર-1માં ફરજ બજાવતાં ખેડૂત પુત્રી ફિમેલ હેલ્થ વર્કર મધુબેન રામજીભાઇ ચૌધરીનો જન્મ વડગામ તાલુકાના નળાસર ગામે થયો છે. ખેડૂત રામજીભાઇ અને જીવતબેનના ત્રણ દીકરી અને બે દિકરા પૈકીના મધુબેને નાનપણથી લોકસેવા કરવાનો મનમાં નિર્ણય લીધો હતો. પિતાજીએ ઉચ્ચ અભ્યાસ કરાવી તેમનું સપનું પૂર્ણ કર્યુ હતુ. મધુબેને છેલ્લા આઠ વર્ષમાં ગઢપંથકમાં એકલા હાથે 2000 કરતાં વધુ પ્રસૂતિઓ કરાવી છે. જેમાં એકપણ બાળક કે માતાનું મરણ થયું નથી.

 

મધુબેને જણાવ્યું હતુ કે, ગઢમાં મારૂ પોસ્ટીંગ થયું ત્યારે જાણ્યું કે, ગરીબ પરિવારો ખાનગી હોસ્પિટલોમાં પ્રસુતિમાં લુંટાઇ રહ્યા છે. આથી એન્ટીનેટલ માતાઓની મુલાકાતો શરૂ કરી તેમને સરકારી દવાખાને વિનામૂલ્યે પ્રસુતિ માટે સમજાવ્યા હતા. લોકડાઉન વખતે પેટા કેન્દ્રની નજીકમાં જ રહેતા એક બહેન કોરોનાથી એટલા ગભરાઇ ગયા હતા કે, હોસ્પિટલમાં આવવાની ના પાડી દીધી હતી. આથી નાછુટકે તેમના ઘરે જઇ પ્રસૂતિ કરાવી તો તેમને જોડીયા બાળકો જનમ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!