કોંગ્રેસના નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરૂખ ખાનના લગ્ન પ્રસંગમાં હાજર રહેલું આખે આખું સવાલા ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપટમાં આવી ગયું છે. જેમાં 1,221 લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ છે. ત્યારે જે સ્થળે ભોજન સમારંભ રખાયો હતો ત્યાંના વિડીયો સામે આવ્યા છે.
એમાં જોવા મળે છે કે, જ્યાં ભોજન બનાવ્યું તે સ્થળ ગંદકીથી ખદબદી રહ્યું છે. લોકોએ ફૂડ-પોઇઝનિંગની અસર બાદ જે ભોજન અધૂરૂ મૂક્યું તે હજુ પણ હટાવ્યું નથી. શનિવારે એના એ જ સ્થળે વેજ જમણવાર પણ યોજાવાનો હતો.
કેટરર્સની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનું વઝીરખાન પઠાણે જણાવ્યું હતું. જ્યારે તમામ લોકોની સારવારનો ખર્ચ પણ વઝીરખાન પઠાણે ઉઠાવ્યો છે. આ અંગે વાત કરતાં કરતાં તેઓ રડી પડયા હતા.
દાવતમાં વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી હતી. જો કે, ભોજન લેતાં જ 1,200 થી વધુ લોકોની હાલત ખરાબ થઇ ગઇ હતી. જમવામાં મટન બાદ, દૂધીનો હલવો, ફૂટ્સ સલાટ જેવી વાનગીઓ ખાતાં એકાએક લોકોને
ઉલ્ટીઓ થવાનું શરૂ થતાં દોડધામ મચી ગઇ હતી. જ્યારે આ વાનગી જે સ્થળે બનાવી એના વિડીયો સામે આવ્યા છે. એમાં જોઇ શકાય છે કે, સ્થળ ગંદકીથી ખદબદી રહ્યું છે.
લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ-પોઇઝનિંગ થઇ જતાં તાત્કાલીક જે વાહન મળ્યા એમાં બેસી વિસનગર, વડનગર, મહેસાણા સહીતની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
મોડી રાત્રે જીલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ, મહેસાણા એસ.પી. અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
આ અંગે દર્દી મહમદભાઇએ જણાવ્યું હતું કે, ‘જમવાને આવ્યા બાદ અચાનક ઉલ્ટીઓ થવા લાગી હતી. મારા પરિવારમાં કુલ 5 લોકોને ઉલ્ટીઓ થવા લાગી હતી.
એમાં 3 દીકરી અને બાકીના પરિવારજનોને ઉલ્ટીઓ થતાં સારવાર અર્થે આવ્યા છીએ. મને પણ અસર થઇ હતી. ઇન્જેક્શન લીધા બાદ સારૂ છે.’
લગ્નમાં દિલ્હી દરબાર નામના કેટરર્સ દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું હતું. કેટરર્સના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ‘અમે મુંબઇથી કામ કરવા આવ્યા છીએ. રાત્રે કામ કર્યાં બાદ હલવો અને ચીકન ખાધા બાદ પેટમાં ગડબડ થવા લાગી હતી અને ઉલ્ટી થઇ હતી.
દાવતમાં 20,000 લોકો ઉપસ્થિત હતા. ઘણા લોકોને આવું થયું હતું. એમાં અમારા ગૃપમાં 10 લોકો પણ ભોગ બન્યા છે. અમને અમારો માલિક મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મૂકી ગયો છે. જો કે, કેટરર્સના કર્મચારીએ માલિકનું નામ જણાવવાનો ઇન્કાર કર્યો હતો.’
આ અંગે વઝીરખાન પઠાણે જણાવ્યું હતું કે, ‘મારા ઘરે કોઇ પ્રસંગ હોય તો વધુમાં વધુ લોકો જમે તેવું આયોજન હું કરતો આવ્યો છું. આ વખતે પણ મારે છેવાડાના લોકોને ખવડાવવું હતું. જેથી કોરોના કાળમાં દીકરાના લગ્ન મોકૂફ રાખ્યા હતા.
હવે કોરોના નિયમો હળવા થતાં દીકરાના લગ્નનું આયોજન કરી દેશની બ્રાન્ડ કહેવાય તેવા મુંબઇના દિલ્હી દરબાર કેટરર્સનો સંપર્ક કરી આ ઓર્ડર આપ્યો હતો. દાવતની સંપૂર્ણ જવાબદારી કેટરર્સને અપાઇ હતી.’
રાત્રે જમ્યા પછી અચાનક લોકોને ઉલ્ટીઓ થવા લાગી. મે તપાસ કરતાં જાણવા મળ્યું કે, ‘જે લોકોએ નોનવેજ ખાધા બાદ દૂધીનો હલવો ખાધો તેમને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ હતી.
લગ્નમાં 18,000 થી 20,000 મહેમાનો આવ્યા હતા. જેમાંથી 1,200 જેટલાં લોકો ફૂડ-પોઇઝનિંગની ઝપેટમાં આવ્યા હતા. હવે મોટાભાગના લોકોની તબિયત સારી છે. હોસ્પિટલથી પણ રજા અપાઇ છે.
આમાં ભૂલ કેટરર્સની છે. સંપૂર્ણ ધ્યાન કેટરર્સે રાખવાનું હતું. પણ કેટરર્સની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે. જેટલાં લોકો ફૂડ-પોઇઝનિંગની ઝપેટમાં આવ્યા તેમની સારવારનો તમામ ખર્ચ મે ઉઠાવ્યો છે.
આમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો મને ઘણો સ્પોર્ટ રહ્યો છે. મને બહુ દુઃખ લાગ્યું છે કે, મારા આંગણે જમવા આવેલા લોકો હેરાન થઇ ગયા. આટલી વાત કરતાં વઝીરખાન રડી પડયા હતા.
From-Banaskantha update