પાલનપુરના બાદરપુરા (ખોડલા)ના શખ્સે મુંબઈમાં તેની ગર્લફ્રેન્ડની ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી હતી. જે પછી મદદગારી કરનાર મિત્ર સાથે ફરાર થઈ ગયો હતો. જે તેના વતનમાં આવતા જ ગઢ પોલીસે બંનેને દબોચી લીધા હતા. મુંબઈના વાલીવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષીય સગીરાની હત્યા થઈ હોવાની અને 2 હત્યારા ગુજરાત તરફ ફરાર થયા હોવાની સૂચના મળતા બનાસકાંઠા પોલીસ સતર્ક બની હતી. દરમિયાન પાલનપુર તાલુકાના બાદરપુરા ખોડલા ગામેથી બંનેને ગઢ પોલીસે ઝડપી લીધા હતા.
પીએસઆઇ એસ. કે. દેસાઈએ જણાવ્યું હતું કે, બાદરપુરા ખોડલાનો સંતોષ મગનભાઈ મકવાણા (ઉં.વ. 22) મુંબઈના નિર્મલ નગર પોલીસ સ્ટેશનની સામે રેલવે કોલોની પાછળ ત્રણ બંગલા પાઇપલાઇન વિસ્તારમાં મજૂરી કરી રહેતો હતો. જેને અંધેરી મુંબઈની 15 વર્ષીય સગીરા સાથે મિત્રતા થઈ હતી.
જોકે, કોઈ કારણોસર તેણે 25 ઓગસ્ટના દિવસે મિત્ર જુહુ અંધેરી વિસ્તારના મોરાગાવના વિશાલ દીપક અનભણવે (મરાઠી) ઉ.વ.21ની મદદથી ગર્લફ્રેન્ડની ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરી બંને ફરાર થઈ ગયા હતા. બંને બાદરપુરા ગામમાં આવતા જ ઝડપી લેવાયા હતા. જેમને મુંબઈ પોલીસને સોંપવામાં આવશે.
ગર્લફ્રેન્ડને સંતોષ મકવાણાએ 25 ઓગસ્ટના દિવસે તેના મિત્ર વિશાલ મરાઠીના ઘરે બોલાવી હતી. જ્યાં ચપ્પાના ઘા ઝીંકી તેની નિર્મમ હત્યા કરી હતી. અને બંને જણા ફરાર થયા હતા. તેઓ રામદેવરા સહિતના સ્થળે જઈ બાદરપુરા ખોડલા આવતા ગઢ પોલીસની ટીમના સલીમખાન, ભરતભાઇ, સેવંતીભાઈ અને પ્રકાશભાઈએ દબોચી લીધા હતા. જોકે, ગર્લફ્રેન્ડની હત્યા શા માટે કરી તે હવે મુંબઈ પોલીસની તપાસમાં બહાર આવશે.
From – Banaskantha Update