બનાસકાંઠા જીલ્લામાં પાણીની માંગ સાથે હવે ખેડૂતોનું જળ આંદોલન શરૂ થયું છે. જીલ્લામાં ચાલુ સાલે નહીવત વરસાદને લઇ પાણીના તળ ઉંડા ગયા છે.
ત્યારે બીજી તરફ જીલ્લાના સરહદી વિસ્તારોમાં સરકાર દ્વારા કેનાલો તો બનાવાઇ છે પરંતુ સમયસર પાણી ન છોડાતાં ખેડૂતો અટવાયા છે.
જો કે, ખેડૂતો દ્વારા સરકારને અવાર-નવાર સિંચાઇનું પાણી પુરૂ પાડવા રજૂઆતો કરવા છતાં કોઇ નિરાકરણ ન આવતાં ખેડૂતોએ જળ આંદોલન છેડયું છે.
જે અંતર્ગત સોમવારે પાલનપુરમાં ધનિયાણા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી 5 કિલોમીટર સુધી મૌન રેલી યોજાઇ હતી. જે રેલીમાં જીલ્લાના ખેડૂતો, જીલ્લાના કોંગી ધારાસભ્યો સહીત આપના રાજકીય આગેવાનો પણ જોડાયા હતા.
ધનિયાણા ચોકડીથી નીકળેલી આ રેલી શહેરના જાહેર માર્ગો પરથી પસાર થઇ જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી જ્યાં જીલ્લાના તંત્રને આવેદનપત્ર પાઠવી આગામી દિવસોમાં જીલ્લાના ખેડૂતો માટે સિંચાઇ માટેના પાણીનું આયોજન કરવા માંગ કરી છે.
જો સરકાર દ્વારા પાણીની કોઇ વ્યવસ્થા નહીં કરાય તો આગામી બજેટમાં જીલ્લાના પાણીના પ્રશ્નને નહીં લેવાય તો કોંગી ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં હંગામો કરવાની અને જીલ્લાના ખેડૂતોએ બનાસકાંઠાથી ગાંધીનગર સુધી કૂચ કરી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે.
From-Banaskantha update