ડીસામાં આવેલા ભોપાનગર વિસ્તારમાં સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડતાં નજરે પડી રહ્યા છે. આ વિસ્તારમાં ગટર ઉભરાતાં પાણીથી સ્થાનિક લોકો પરેશાન થઇ ગયા છે.
વારંવાર સ્થાનિક લોકોએ તંત્રમાં રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઇ જ નિરાકરણ આવતું ન હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
“સ્વચ્છ ભારત અભિયાન” શબ્દ દીવાલો પર લખેલો અને નેતાઓના મોંઢા પર જ સાંભળવો સારો લાગે છે. કારણ કે જમીન પરની હકીકત કંઇક જૂદી છે.
આ દ્રશ્યોમાં તમે જોઇ શકો છો રસ્તા પર રેલાઇ રહેલા પાણીને સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં વરસાદને લીધે સર્જાતા હોય છે.
પરંતુ નથી તો અત્યારે ચોમાસુ કે નથી વરસાદ અને તેમ છતાંય અત્યારે ભોપાનગર વિસ્તારમાં આવેલા રાવળવાસમાં લોકોના ઘરની આગળ પાણી રેલાઇ રહ્યું છે.
આ પાણી અહીંથી પસાર થતી મુખ્ય ગટરલાઇનનું પાણી છે અને અહીની ગટર ચોકઅપ થવાથી આ પાણી હવે લોકોના ઘરની આગળથી વહી રહ્યું છે. છેલ્લા 6 માસથી આ વિસ્તારના લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
આ અંગે અનેકવાર રજૂઆત ડીસા નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર અને નગરપાલિકાના પ્રમુખને કરી હોવા છતાં આ વિસ્તારની દરકાર કોઇ લેતું નથી.
આ વિસ્તારમાં લગભગ 250 થી વધુ બાળકોને આ ગંદકીના લીધે શાળા અવર-જવર માટેનો આ એક જ માર્ગ છે અને અહી ગંદુ પાણી રેલાતું હોવાના લીધે સ્થાનિક બાળકોને મુખ્ય હાઇવે પરથી જીવના જોખમે શાળા પર જવું પડી રહ્યું છે.
આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકી બાબતે ડીસા નગરપાલિકામાં અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા દ્વારા અહી તો સફાઇ કરવામાં આવી રહી નથી.
ત્યારે ગંદા પાણીના નિકાલ માટેની કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. જેને પગલે સ્થાનિક લોકો હવે આ ગંદકી જાતે જ દૂર કરતાં નજરે પડી રહ્યા છે.
સ્થાનિકો આ વિસ્તારમાં ગંદકી દૂર કરીને જાતે જ રસ્તો બનાવી રહ્યા છે. જ્યારે ગંદકીનું સામ્રાજ્ય વધી જતાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે.
જયારે સ્થાનિક લોકોની માંગ છે કે, ‘ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલીક ગટરલાઇનની સાફ-સફાઇ કરાવે તેવી માંગ ઉઠી છે.’
From-Banaskantha update