ગ્રાહકે શરતોનો ભંગ કર્યો છે એવું કારણ આપી વીમા ક્લેઈમ નામંજુર કરનાર ધી ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીને ગ્રાહક અદાલતે લપડાક મારી વીમા ક્લેઇમના 75% રકમ 9% વ્યાજ તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ ચૂકવવા હુકમ ફરમાવ્યો છે.
ફરિયાદની વિગતો મુજબ પાલનપુર તાલુકાના ગઢ મુકામે રહેતા પ્રતાપજી વાલાજી વણઝારાએ પોતાના ટ્રેક્ટર માટે રૂપિયા 2,50,000/-ની મર્યાદાનો વીમો ધી ન્યુ ઇન્ડિયા કંપની પાસેથી મેળવેલ હતો અને વર્ષ 2018ના અરસામાં ગ્રાહકનું ટ્રેકટર રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ચોરી થઈ જતા ગ્રાહકે પોલીસ ફરિયાદ વિગેરેની કાર્યવાહી કર્યા બાદ વીમા કંપનીને જાણ કરી ધોરણસર વીમા ક્લેઈમ મુક્યો હતો.
પરંતુ ગ્રાહકો સાથે અનૈતિક વેપાર પદ્ધતિ આચરવા ટેવાયેલી વીમા કંપનીએ ટ્રેક્ટર નાણાકીય લાભ કમાવવા માટે ઉપયોગ થતો હતો એવું કારણ આપી વીમા ક્લેમ નામંજૂર કર્યો હતો. વિમા કલેઈમ નામંજુર કરતાં ગ્રાહક પ્રતાપજી વાલાજી વણઝારાએ વીમા કંપનીને વીમા ક્લેમ મંજુર કરવા ઘણી આજીજીઓ કરી હતી પરંતુ વીમા કંપનીએ ગ્રાહકનું ન સાંભળતાં ગ્રાહકે અંતે ગુજરાતની જાણીતી ગ્રાહક હિત, હકક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ – ડીસાના ટ્રસ્ટી કિશોર દવેનો સંપર્ક કરી રૂબરૂ લેખિત ફરિયાદ આપી હતી.
ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈ નોટિસ વગેરેની કાર્યવાહી કર્યા બાદ સંસ્થાના મંત્રી પ્રિતેશ શર્માએ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ગ્રાહકની ફરિયાદ 128/2019 દાખલ કરેલ.
ગ્રાહકની ફરિયાદના સમર્થનમાં સંસ્થાના મંત્રી પ્રિતેશ શર્માએ ધારદાર દલીલો રજુ કરતા ગ્રાહક અદાલતના પ્રમુખ એ.એસ.ગઢવી અને સભ્ય બી.બી. ત્રિવેદીની જ્યુરીએ દલીલો માન્ય રાખી વીમા ક્લેમની 75% રકમ એટલે કે રૂપિયા 1,87,500/-, ફરિયાદ દાખલ થયા થી 9% વ્યાજ સાથે તેમજ રૂપિયા 1,500/ ખર્ચ અને 1,000/- રૂપિયા માનસિક ત્રાસ પેટે મળી કુલ રૂપિયા 2,30,659/- મંજૂર કર્યા હતા અને આમ વીમા કંપની સેવામાં ખામી અને અનૈતિક વ્યાપાર પદ્ધતિના કારણે પોતાના નાણાં ખોઈ ચૂકેલા ગ્રાહકને ન્યાય મળવા પામ્યો છે.
From – Banaskantha Update