મધ્યપ્રદેશના ધારમાં શનિવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક વરરાજાનું મોત નિપજ્યું. થોડાક કલાકો બાદ તેના લગ્ન થવાના હતા. દુલ્હન પક્ષે લોકો જાનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેમની પાસે જાન તો ન પહોંચી પણ અકસ્માતના સમાચાર પહોંચ્યાં.
આ દૂર્ઘટના ધારના ફુલગાંવડી પાસે બની હતી, જ્યાં વરરાજાની કાર ડિવાઈડર સાથે અથડાઈને ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત વરરાજાને ઈન્દોર રીફર કરવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ વરરાજાએ દમ તોડ્યો હતો.
બડવાની જિલ્લાના ટિટગારિયા (ખેડા) ગામના રહેવાસી રિતેશના લગ્ન લાબરિયા ગામની જ્યોતિ સાથે નક્કી થયા હતા. રિતેશ જાન લઈને લાબરિયા જઈ રહ્યો હતો, પરંતુ લગ્નસ્થળથી 28 કિલોમીટર પહેલા ઈન્દોર-અમદાવાદ ફોરલેન પર ફુલગાંવડી ગામ પાસે આ દૂર્ઘટના બની.
પ્રત્યક્ષદર્શિઓ અનુસાર કાર ડિવાઈડર સાથે અથડાતા આશરે 15 ફુટ ઉછળીને ખેતરમાં પડી હતી. કારમાં વરરાજા સાથે 5 લોકો સવાર હતા. દૂર્ઘટનામાં દરેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાં દુલ્હા અને તેનો પિતરાઈ ભાઈ ગંભીર રુપે ઈજાગ્રસ્ત થયા હતા પરંતુ હોસ્પિટલ લઈ જતા તેમનું રસ્તા પર જ મોત થયું હતું.
સરદારપુર પોલીસ પ્રમાણે ઘટનામાં રાધિકા, આરતી, કિશોર, ચંપાલાલ અને અજય ઈજાગ્રસ્ત થયા છે. પ્રારંભિક તપાસમાં ઘટના ડ્રાઈવરને ઝોકું આવતા થઈ છે. ઝોકું આવતા ડ્રાઈવર કાર પરથી નિયંત્રણ ગુમાવી બેઠો અને ઝડપી ગતિએ જઈ રહેલી કાર ખેતરમાં જઈને પડી.
From – Banaskantha Update