રાજસ્થાનના કોટામાં રવિવારે સવારે મોટી દુર્ઘટના ઘટી છે. વરરાજા સહિત 9 જેટલા જાનૈયાઓને લઈને જઈ રહેલી કાર ચંબલ નદીમાં ખાબકી હતી. ઘટનામાં તમામના મૃત્યુ થયા છે. ઘટના નયાપુરની પાસેની છોટી પુલિયાની છે. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટુકડી ઘટના સ્થળેથી પહોંચી હતી. હાલ રેસ્ક્યુ અભિયાનમાં નદીમાં ડૂબેલા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
જાન ચૌથના બરવાડાથી ઉજ્જૈનના ભૈરુનાલા જઈ રહી હતી. તમામ 9 લોકો એક જ કારમાં સવાર હતા. વિષ્ણુ શ્રૃંગીએ જણાવ્યું કે, દુર્ઘટના રવિવારે સવારે 5.30 વાગ્યે ઘટી હતી. કોઈ રસ્તે ચાલતા વ્યક્તિએ ચંબલ નદીમાં કારને પલટી ખાતા જોઈ હતી. તે પછી વહેલી સવારે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ક્રેનની મદદથી કારને બહાર કાઢી લેવામાં આવી હતી. તમામ શબને એમબીએસની મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.
મૃતકોમાં વરરાજા અવિનાશ વાલ્મિકિ પણ સામેલ છે. પરિવારે જણાવ્યું કે, કારમાં અવિનાશની સાથે દોસ્ત અને કેટલાક સંબંધીઓ હતા. તેની સાથે જાનૈયાઓની એક બસ પણ જઈ રહી હતી, જે આગળ નીકળી ગઈ હતી. આ બસમાં 70 લોકો સવાર હતા. આ લોકો બરવાડાથી 2 વાગ્યે રવાના થયા હતા.
તે પછી તમામ લોકો કેશોરાયપાટનમાં ચા પીવા માટે રોકાયા હતા. તે પછી બસ આગળ નીકળી ગઈ હતી. જ્યારે બસ કોટા પાર કરી ગઈ હતી, તો તેમાં બેઠેલા જાનૈયાઓને લાગ્યું કે કાર ઘણી દૂર રહી ગઈ છે. પછીથી સમાજના લોકોએ ફોન કરીને માહિતી આપી કે કાર ચંબલમાં પડી ગઈ છે.
આ અકસ્માતમાં વરરાજા અવિનાશ, વરરાજાના ભાઈ કેશવ, કાર ડ્રાઈવર ઈસ્લામનું મોત થયું હતું. બાકીના મૃતકો જયપુરના રહેવાસી હતા. જેમાં જયપુરના ટોંક ફાટકના રહેવાસી કુશલ અને શુભમ, ટ્રાન્સપોર્ટ નગરના રહેવાસી રાહુલ, ટોંક ફાટકના રહેવાસી રોહિત, ઘાટગેટના રહેવાસી વિકાસ, માલવિયા નગરના રહેવાસી મુકેશનું મૃત્યુ થયું હતું.
From – Banaskantha Update