સૂઇગામના મીની અયોધ્યા તરીકે પ્રખ્યાત અને ખાખીજી મહારાજની તપોભૂમિ તરીકે દેશભરમાં જાણીતા કટાવ ધામમાં જગ્યાના મહંત જયરામદાસજી બાપુ દ્વારા અગ્નિથી પ્રજવલિત ગાયના છાણાથી પ્રજવલિત આગ-ધુમાડાની 84 ધૂણીની વચ્ચે બેસી તડકામાં તપશ્ચર્યા આદરી છે.
વસંત પંચમીથી શરૂ કરેલ તપશ્ચર્યા દરમિયાન દરરોજ બપોરે 11:00 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી ધુણી વચ્ચે બેસે છે. આગામી જેઠ માસ સુધી 4 માસ સુધી અવિરત તેઓ તપશ્ચર્યા કરશે.
એટલે કે તા. 5 ફેબ્રુઆરીથી આગામી તા. 20 જૂન સુધી આ ક્રિયા દરરોજ ચાલુ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. છેલ્લા 11 વર્ષથી અવિરત ઉનાળાના ધોમધખતા તડકામાં બપોરના સમયે છાણાની પ્રજવલિત ધૂણી વચ્ચે તેઓ માનવ કલ્યાણના હેતુ માટે તપ કરી રહ્યા છે.
આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘ગાયના છાણા અને ઘીથી ધૂણી પ્રજવલિત કરવાથી નકારાત્મક વાતાવરણ દૂર થાય છે અને લોકોને ઓક્સિજન મળતાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. સમસ્ત જીવોનું કલ્યાણ થાય એવી ઉમદા ભાવનાથી તેઓ તપ કરી રહ્યા છે.’
8 વર્ષ ડાકોરમાં તપશ્ચર્યા કરી હતી અને છેલ્લા 3 વર્ષથી કટાવ ધામમાં હઠયોગીની માફક તપશ્રયા કરી રહ્યા છે. જેમાં છેલ્લા 2 વર્ષથી તેમની સાથે ગંગોત્રીથી પધારેલા સીતારામદાસજી બાપુ પણ 12 ધૂણી વચ્ચે ધૂણી ધખાવી તપ કરી રહ્યા છે.
સનાતન ધર્મની પરંપરા મુજબ ત્યાગી તપસ્વીઓ દ્વારા આ પ્રકારે તપશ્ચર્યા કરાતી જેનું મહંત જયરામદાસજી બાપુ પણ અનુસરણ કરી રહ્યા છે. આ જગ્યાએ ખાખીજી મહારાજની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. અહીં તેમણે 125 વર્ષ સુધી તપ કર્યું હતું. આ પવન ભૂમિ પર ફરીથી મહંત જયરામદાસજી બાપુએ તપશ્ચર્યા આદરી છે.
From-Banaskantha update