બનાસકાંઠા જીલ્લા 181 અભયમ, પોલીસ બેઇઝડ સ્પોર્ટ સેન્ટર અને નારી સંરક્ષણ કેન્દ્ર સહીત ખાનગી સંસ્થાઓમાં નોંધાતા કેસોમાં 10 ટકા એવા કિસ્સા સામે આવ્યા છે. જેમાં યુવક- યુવતીઓએ પ્રેમ લગ્ન કર્યાં છે. જેમણે કાયદાકીય મદદ લઇને તેમાં સફળતા પણ મેળવી છે.
પાલનપુરમાં બનેલા એક કિસ્સાની વિગત આપતાં નારી સંરક્ષણ ગૃહના સુપ્રિન્ટેન્ડન્ટ સોનલબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘નારી સંરક્ષણ કેન્દ્રમાં 3 ટકા કેસો એવા હોય છે.
જેમાં યુવતીને પ્રેમ પ્રકરણમાં મૂકવામાં આવે છે. જેમાં પાલનપુરના જ એક નાનકડા ગામની સગીરાએ પોતાના સમાજ બહારના યુવક સાથે ભાગી હતી. પરિવારે બંનેને ઝડપ્યા હતા.
જો કે, સગીરાની જીદના કારણે તેને નારી સંરક્ષણ ગૃહમાં મૂકવામાં આવી હતી. 2 વર્ષ સુધી અહીયા રહી હતી. લગ્ન લાયક ઉંમર થતાં કોર્ટનો આશરો લઇને પ્રેમી સાથે લગ્ન કર્યાં હતા. વર્તમાન સમયે તેણી એક દીકરીની માતા બની છે.’
જ્યારે બીજા કિસ્સા અંગે બેઇઝ સ્પોર્ટ સેન્ટરના કાઉન્સેલર જીગીષાબેન તરાલે જણાવ્યું હતું કે, ‘2 ટકા કેસો યુવક-યુવતીઓ પ્રેમ સબંધી હોય છે.
જ્યાં બનાસકાંઠાના સરહદી તાલુકાની યુવતીએ સમાજ બહાર જઇને યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં તો યુવકના સમાજે બંનેનો બહીષ્કાર કરી દીધો હતો.
સમાજ સામે હાર માનવાના બદલે બંને જણાં ગામ છોડીને બીજા ગામમાં સ્થાયી થયા છે. સામાજીક કાર્ય સાથે સંકળાઇને સારી નામના પણ મેળવી છે. જેમને સંતાનમાં એક દીકરી પણ છે.’
બનાસકાંઠા 181 અભયમના કાઉન્લેસર જીનલબેન પરમારે જણાવ્યું હતું કે, ‘જીલ્લાના 100 કેસો પૈકી 5 ટકા કેસોમાં યુવક-યુવતીઓના પ્રેમ લગ્નના હોય છે.
જેમાં થોડાક વર્ષો અગાઉ બનાસકાંઠાની યુવતીને ગામના યુવક સાથે પ્રેમ થયો હતો. પરિવારની જાણ બહાર કોર્ટ મેરેજ કરી દીધા હતા.
જો કે, પરિવારને જાણ થઇ ત્યારે તેની સાથે કોર્ટમાં ડીવોર્સ લેવડાવી દીધા હતા અને પછી તેણી પ્રેમીને ન મળે તે માટે 2 માસ સુધી ઘરને તાળુ મારી ઓરડામાં પુરી દીધી હતી.
જમવાનું પણ આપતા ન હતા. કોઇ તેની સાથે વાતચીત પણ કરતાં ન હતા. જેણે 181 અભયમની મદદ લેતાં અમોએ ટીમ સાથે જઇ માતા-પિતાને સમજાવ્યા હતા.
અત્યારે મનિષા તેમના પ્રેમી પતિ સાથે સફળ દામ્પત્ય જીવન જીવી રહી છે. એક દીકરીની માતા પણ બની છે. બંને પતિ-પત્ની ખુશ છે.’
From-Banaskantha update