ધૂણો ધખાવીને બેઠેલા મહંતે તેમના માનીતા સેવકને કહ્યું કે, મેં વિધિ વિધાન કર્યાં છે. હું અમર થઇ ગયો છું, તું ખરાઇ કરી જો, મને જો કંઇ થશે નહીં. મહંતની આજ્ઞાને લઇ સેવકે તેમના દાતરડા વડે હુમલો કરતાં મહંત સ્થળ પર જ લોહીથી લથબથ હાલતે ઢળી પડયા હતા.
જો કે, મહંતનું મોત થયાની જાણ થતાં જ સેવકે તેમના મૃતદેહને શેતરંજી, મહંત પહેરેલી કોટી અને હથિયાર સાથે કૂવામાં ફેંકી દીધા હતા.
ઢસા નજીકના ચોસલા ગામે 5 દિવસ પૂર્વે થયેલી મહંતની હત્યામાં ઝડપાયેલા ગામના જ શખ્સે પોલીસ સમક્ષ અંધશ્રધ્ધાની પરાકાષ્ઠા સમાન હત્યાના બનાવ અંગેના રહસ્ય પરથી પડદો ઉંચકતા ખૂદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે ગુનાનો ભેદ ઉકેલી તેના આધારે ઝડપેલા મૃતક મહંતના જ માનિતા સેવકને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં હતા.
વાત હોય શ્રધ્ધાની તો પૂરાવાના શું જરૂર છે ?, અંધશ્રધ્ધામાં પણ કયાં જરૂર છે ? તેવી કહેવતને ચરિતાર્થ કરતાં બનાવની હકીકત એવી છે કે, બોટાદ જીલ્લાના ગઢડા (સ્વામિના) તાલુકાના અને ઢસા તાબેના ચોસલા ગામે આવેલા
હનુમાનજી મંદિર આશ્રમના મહંત રામદાસજી ગુરૂ મોહનદાસજી ચારેક દિવસથી લાપતા હતા. જેમની ભારે શોધખોળના અંતે ગત ગુરૂવારના રોજ આશ્રમના કૂવામાંથી જ તેમની કોહવાઇ ગયેલી હાલતે લાશ મળી હતી.
પોલીસ તપાસમાં તેમની હત્યા થઇ હોવાનું અને ગામમાં જ રહેતાં નીતિન કુરજી વણોદીયાએ તિક્ષ્ણ હથિયારો વડે તેમની હત્યા નિપજાવી આશ્રમના કૂવામાં તેમની લાશ ફેંકી દીધાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. જેના આધારે પોલીસે મૃતક મહંતના ભાઇની ફરિયાદના આધારે શખ્સ સામે ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી.
જો કે, હત્યાનું અકંબધ કારણ વચ્ચે પોલીસે શખ્સને ગત રવિવારના રોજ ઝડપી લીધો હતો અને મંગળવારે રીમાન્ડની માંગ અર્થે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં પોલીસે આરોપીને ત્રણ દિવસના રીમાન્ડની માંગ કરી હતી. જેની સામે કોર્ટે આરોપીના એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં હતા.
પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા આરોપી નીતિન વણોદીયાએ પોલીસને મહંતની થયેલી હત્યાના સિલસીલાબદ્ધ ઘટનાક્રમ અંગે ઉક્ત વિગત વર્ણવી હતી. આરોપીની આ વિગત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જ્યારે આ વિગતો પ્રકાશમાં આવતાં ગામમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી.
From-Banaskantha update