સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરના પગલે કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને સરકાર દ્વારા કોરોના મહામારીમાં સ્વજન ગુમાવનારના પરિવારજનોને રૂ. 50,000 ની સહાય પણ ચૂકવવામાં આવી રહી છે.
ત્યારે મંગળવારે આ અંગે ડીસામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોરોનામાં મૃતકના પરિવારને રૂ. 4,00,000 ની સહાય આપવાની માંગ સાથે ડીસા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.
આ અંગે ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, ‘હાલમાં સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના સગાને માત્ર રૂ. 50,000 ની સહાય ચૂકવાય છે તેમાં પણ ઓનલાઇન ફોર્મ ભરવામાં પણ ભારે મુશ્કેલી સર્જાઇ છે.
અધિકારીઓ દ્વારા વારંવાર ધરમ ધક્કા ખવડાવતાં કોરોના સહાય લેવા આવનાર લોકો હેરાન-પરેશાન થઇ જાય છે. જ્યારે અવર-જવરના ધરમ ધક્કામાં પણ ભાડું પણ ખર્ચાઇ જતાં મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ત્યારે સરકાર આ અંગે રૂ. 50,000 ની જગ્યાએ રૂ. 4,00,000 ની સહાય આપે તેવી અમારી માંગ છે.’
From-Banaskantha update