બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક તરીકે ઓળખાતા ડીસા શહેરમાં કોરોના મહામારીના બે વર્ષ બાદ ભાવિક ભક્તો અને સુભાષ ચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા છેલ્લા 24 વર્ષથી અષાઢી બીજના દિવસે યોજાતી ભગવાન જગન્નાથજીની રથ યાત્રા પહેલા જળયાત્રાનું ભારે મહત્વ છે. તેથી આજે સુભાષ ચંદ્ર બોઝ સેવા સમિતિના પ્રમુખ ગંગારામભાઇ પોપટ અને સમિતિના વિવિધ હોદ્દેદારો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રા પહેલાંની જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. બે વર્ષ બાદ જળયાત્રા નીકળી હતી ત્યારબાદ જળાભિષેક સાથે બળદ ગાડાથી માંડી બેન્ડવાજા સાથે નીકળેલી રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતા.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભગવાનના મોસાળમાં આગમનને લઇને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે સવારે ડીસા શહેરમાં આવેલા રામજી મંદિર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળ કચ્છી કોલોની ખાતે આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિરે આવનાર હોઈ મંદિરના મહારાજ મુન્નાભાઈ મહારાજ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભગવાન 15 દિવસ સુધી રહેશે.
24 જૂને ભગવાનનું મામેરૂ ભરાશે. અહીં વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ 108 ભરેલા કળશ વાજતે-ગાજતે નિજમંદિર ખાતે લઈ જવાશે. મહત્વનું છે કે, ભગવાન જગન્નાથની જળયાત્રા ભાગરૂપે બળદગાડા, હાથી અને બેન્ડવાજા સહિતની તમામ તૈયારીઓ સાથે ભવ્યાતિભવ્ય જળયાત્રા યોજાઇ હતી.
આ જળયાત્રા મહોત્સવમાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના પ્રમુખ જાણિતા ધારાશાસ્ત્રી ગંગારામ પોપટ, જાગૃત નાગરિક સંસ્થાના પ્રમુખ જાણિતા ધારાશાસ્ત્રી તથા જયોતિષાચાર્ય કિશોરભાઈ દવે, મગનભાઈ માળી સમિતિના વિવિધ હોદ્દેદારો અને ક્ષત્રિય સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલા, કનુભાઈ ત્રિવેદી, વોર્ડ નં ચારના સદસ્યો તથા અન્ય સાધુ સંતો, સહિત શહેરના તમામ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા.
From – Banaskantha Update