બનાસકાંઠા જીલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિભાઇ ખરાડીએ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો માટે રૂા. ૪ લાખની સહાય આપવા દાંતા મામલતદાર કચેરી બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવી સહાય નહીં ચૂકવવમાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
દેશભરમાં કોરોનાના કહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. અનેક ઘરોના પરિવારોએ ઘરના મોભી ગુમાવ્યા હતા. પરિવારો નિસહાય બની ગયા હતા. ત્યારે સરકાર દ્વારા આવા પરિવારોને રૂા. ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. જો કે, હજુ ઘણા પરિવારોને માત્ર 50 હજારની જ સહાય ચૂકવાઈ છે.
જેથી પૂરતી સહાય ન ચૂકવાતાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે બુધવારે બનાસકાંઠાના દાંતા ખાતે ધારાસભ્ય કાંતિ ખરાડી તેમજ કાર્યકરો સાથે કોવિડ ગાઈડ લાઈન મુજબ રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ મામલતદારને આવેદનપત્ર આપી કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને પૂરતી સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.
આ અંગે ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીએ જણાવ્યું હતું કે તાજેતરમાં કોરોના મહામારીમાં ઘણા પરિવારોએ મોભી ગુમાવ્યા છે. તેમને સરકારે માત્ર પચાસ હજારની સહાય જાહેર કરી છે. તેના વિરોધમાં પચાસ હજાર નહિ પણ સરકારી નિયમ અનુસાર ચાર લાખ રૂપિયાની પુરી ચૂકવણી કરવાની માંગ કરાઈ છે.
સરકાર ચાર લાખ રૂપિયા જાહેર કરીને ચાર લાખનું ચુકવણું કરે એવી તેઓ અપેક્ષા રાખે છે. મીડિયાના માધ્યમથી અમે એમની આંખો અને કાન ઉઘાડવા માંગીએ છીએ. ઘણા એવા લોકોએ પરિવારમાંથી મોભી ગુમાવ્યા છે, દીકરો ગુમાવ્યો,
બેન-દીકરી ગુમાવ્યા છે અને જે આ સહાય માંગવામાં આવી રહી છે એ એમના ઘરના કે ખિસ્સામાંથી નથી માંગી રહ્યા, એ જનતાના પૈસા છે. એ હક માટે અમે આજે આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ એમ ધારાસભ્યએ જણાવ્યું હતું.
From-Banaskantha update