બનાસકાંઠામાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના મત વિસ્તારમાં વાલીઓએ શાળામાં પ્રાથમિક સુવિધાના અભાવને પગલે શાળામાં તાળાબંધી કરી હોવાની ઘટના સામે આવી છે.
170 વિદ્યાર્થી ધરાવતી આ શાળામાં જ્યાં સુધી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે ત્યાં સુધી આ શાળામાં પોતાના બાળકોને અભ્યાસ અર્થે નહીં મોકલવા ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના વડીયા ગામમાં આવેલી વડીયા પ્રાથમિક શાળામાં છેલ્લા 6 વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.
170 વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં બાળકો માટે બાથરૂમ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.
આ અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર સ્થાનિક કક્ષાએથી માંડી ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ માંગણીઓ સંતોષવામાં ન આવતાં મંગળવારે સ્થાનિક ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી બાળકોને શાળામાં અભ્યાસ અર્થે મોકલવાનું બંધ કરી દીધું હતું.
વાલીઓએ શાળાને તાળાબંધી કરવાનો નિર્ણય લેતાં શાળાના શિક્ષકો પણ વાલીઓને સમજાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ શિક્ષકોની વાત માનવાનો પણ વાલીઓએ ઇન્કાર કરી દીધો હતો અને શાળાને તાળાબંધી કરી હતી.
આ અંગે શિક્ષકોએ જણાવ્યું હતું કે, ‘સરકાર દ્વારા વાલીઓની આ માંગણીઓને ઝડપથી સંતોષવામાં આવે તો શાળામાં અભ્યાસ કરતાં 170 બાળકોના બગડી રહેલા અભ્યાસને અટકાવી શકાય તેમ છે.’
From-Banaskantha update