થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં મંગળવારે લાખણી તાલુકાના એક યુવકને ઝંપલાવતાં પ્રત્યક્ષદર્શીએ જોઇ જતાં તેની ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, મોડી સાંજ સુધી શોધખોળ કરવા છતાં પણ કોઇ ભાળ મળી ન હતી.
લાખણી તાલુકાના વાસણા ગામના અને થરાદમાં હિરા ઘસવાનું કામ કરતા 28 વર્ષીય યુવકે મંગળવારે થરાદની નર્મદા નહેરમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. બળીયાહનુમાન મંદિરના બાપજીએ આ ઘટના જોઈ હતી.
આથી યુવક નહેરમાં પડ્યો હોવાની આશંકાએ પરિવારના કહેવાથી નગરપાલિકા તરવૈયા સુલતાન મીર દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. બનાવ અંગે જાણ થતાં ઘટના સ્થળે પરિવારજનો તેમજ સગાસ્નેહીજનો બહોળી સંખ્યામાં દોડી આવતાં લોકો એકઠાં થવા પામ્યાં હતાં. નગરપાલિકાના તરવૈયા દ્વારા સાંજે સાડા પાંચ વાગ્યા સુધી તપાસ હાથ ધરવા છતાં કોઇ ભાળ મળી ન હતી.
From – Banaskantha Update