બનાસકાંઠાનો યુવક આંખોમાં રોશની ન હોવા છતાં અડીખમ બની અવનવી ડીઝાઈનોવાળા રંગબેરંગી ખાટલા ભરી આત્મનિર્ભર જીવન નિર્વાહ કરે છે

Share

બનાસકાંઠાના મુડેઠા ગામના જોષીપુરામાં ખેડૂત પરિવારમાં જન્મેલા દશરથભાઈ જોષીએ દિવ્યાંગ હોવા છતાં રંગબેરંગી ખાટલા ભરીને ગમે તેવા કપરા સંજોગોમાં પણ હિંમત ન હારવાનું ઉદાહરણ પૂરું પાડયું છે. ખાટલા ભરવાની સાથે સાથે એમાં નામ લખવા અને અલગ-અલગ ડીઝાઇન બનાવવાની કળા જોઈને અનેક લોકો તેમની પાસેથી ખાટલા ખરીદી રહ્યા છે.

[google_ad]

આજથી 35 વર્ષ અગાઉ મુડેઠા ગામે રહેતાં જોષી પરિવારમાં પુત્ર રત્નનો જન્મ થતાં પરિવારમાં ખુશી છવાઈ હતી. જો કે, પુત્રની આંખોમાં થોડી તકલીફ હોવાનું પરિવારને જાણવા મળતાં પરિવારમાં થોડી નિરાશા છવાઈ હતી. પરંતુ પરિવારે તેની આંખોની સારવાર પણ કરાવી હતી. જેથી તે વખતે દશરથભાઈને માત્ર 10 ટકા જેટલું દેખાઈ શકતું હતું. સમય જતાં તેઓ શાળામાં અભ્યાસ માટે ગયેલા અને ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા. પરંતુ આંખોની રોશની ન હોવાના કારણે માત્ર ધો. 7 સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. આગળ જતાં તેમના લગ્ન થયેલા જેમાં હાલમાં તેમના પરિવારમાં ત્રણ બાળકો પણ છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તેમને બિલકુલ દેખાવાનું બંધ થઈ ગયું હતું.

[google_ad]

તેમને 100 ટકા દેખાવાનું બંધ થઈ જતાં તેમના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી છવાઈ હતી. પરંતુ દશરથભાઈએ હાર ન માનતાં પોતાના માતા-પિતા સહીત પોતાના પરિવારને હિંમત આપી તેમના બાળકો અને પત્ની સાથેના પરિવારની રોજી-રોટી મેળવવા એક નવો રસ્તો અપનાવ્યો હતો. બાળપણમાં દશરથભાઈને ગાવાનો અને ખાટલા ભરવાનો શોખ હતો.

[google_ad]

 

આથી તેમણે તેમના નાના ભાઈ જોડે યુ-ટ્યૂબમાં ઓનલાઈન ખાટલા ભરવાની પદ્ધતિ જાણી અને મોબાઈલમાં માત્ર અવાજ સાંભળી ખાટલા ભરવાની શરૂઆત કરી હતી. જેમાં તેમને સફળતા મળી હતી અને આજે તેઓ રંગબેરંગી ખાટલા ભરી રહ્યા છે. ખાટલામાં નામ લખવું અને અલગ-અલગ ડીઝાઇન બનાવવાની કળા જોઈ અનેક લોકો ખાટલા ખરીદી રહ્યા છે. કોઈના પર પણ બોજ બન્યા વગર આજે દશરથભાઈ આત્મનિર્ભર બન્યા છે.

[google_ad]

દશરથભાઈને તેમના માતા-પિતા અને પત્ની સહીત ભાઈઓનો ખૂબ સહકાર મળ્યો છે. દશરથભાઈ યોગા અને ધ્યાન કરે છે. સાથે સાથે પોતાના ખેતરમાં પશુપાલન પણ પરિવારના સહયોગથી કરી રહ્યા છે. દશરથભાઈના નાના ભાઈ કનુભાઈએ જણાવ્યું હતું કે, ‘દશરથભાઈને આંખોની તકલીફ થતાં બધા ચિંતામાં મુકાયા હતા. પરંતુ તેમણે એ બધાને હિંમત આપી હતી અને આ મુશ્કેલીમાં હું જાતે આત્મનિર્ભર બની જીવન ગુજારીશની વાત કરી પોતાની મહેનતથી ખાટલા ભરવાનું કામ કર્યું હતું. એનાથી એમનો પરિવાર પણ ખૂબ ખુશ છે.’

[google_ad]

આ અંગે પિતા ધુળાભાઈએ જણાવ્યું હતું કે, ‘મારા ઘરના મોભી દીકરાને આંખોની તકલીફ આવતાં હું નિરાશ થઈ ગયો હતો. પરંતુ તેણે જ મને હિંમત આપી હતી. જેથી અમે તેને મદદ કરી હતી. આજે તે ખાટલા ભરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે તેની અમને ખુશી છે.

[google_ad]

advt

આંખોની રોશની વગર પણ જીવન વ્યતીત કરતાં અને આત્મનિર્ભર બની પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દશરથભાઈને ગાવાનો પણ ખૂબ શોખ છે. કુદરતે તેમને સારો અવાજ આપ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ સારું પ્લેટફોર્મ તેમને મળ્યું નથી. ગાવા માટે તેમને કોઈ સંસ્થા કે લોકો મદદ કરે તો તેઓ તેમનું સપનું સાકાર કરી શકે તેમ છે એવી તેમણે અપિલ પણ કરી હતી.’

From – Banaskantha Update

 


Share