સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલનું ખેડુતોને આહવાન

Share

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીની કાર્યશાળા યોજાઇ હતી. જેમાં સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલે ખેડુતોને આહવાન કર્યુ હતું. આ કાર્યશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીન ફળદ્રુપ બને છે, ઉજ્જડ અને બિન ઉપજાઉ જમીનને પણ આ પધ્ધતિથી ફળદ્રુપ બનાવી શકાય છે.

[google_ad]

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, કાંકરેજી અને ગીર ઓલાદની દેશી ગાયના માત્ર એક ગ્રામ છાણમાં 300 કરોડ જેટલી વિરાટ સંખ્યામાં ખેતી ઉપયોગી બેક્ટેરીયા હોય છે તેના દ્વારા નોંધપાત્ર ખેત ઉત્પાદન મેળવીને બિમારીઓથી પણ દૂર રહી શકાય છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર રાજયમાં સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અભિયાન સ્વરૂપ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમાં ખુબ સારી સફળતા પણ મળી રહી છે. ગુજરાતમાં ડાંગ જીલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારીત જીલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજીને પ્રાકૃતિક ખેતી તરફ વળી ગુજરાતને રાસાયણિક ખેતીથી મુક્ત બનાવીએ. હવે બનાસકાંઠા જીલ્લાના સમજુ, મહેનતું અને બહાદુર ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યાં છે તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

[google_ad]

રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગથી હોસ્પિટલો ભરચક છે ત્યારે સમાજને ફેમીલી ર્ડાકટરની સાથે સાથે હવે ફેમીલી ખેડૂતની જરૂર છે. રાજ્યપાલે પોતાના અનુભવો જણાવતાં કહ્યું કે, હરીયાણા- કુરૂક્ષેત્રના ગુરૂકુળમાં સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીના અમલથી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે, અને ખર્ચમાં મોટો ઘટાડો થયો છે. તેમજ આ પધ્ધતિથી ઉત્પાદીત ખેતી પાકોની લોકો દ્વારા મોટાપાયે માંગ કરવામાં આવે છે. છેલ્લા 8-10 વર્ષથી હરીયાણાના કુરૂક્ષેત્ર-ગુરૂકુળની 200 એકર જમીનમાં રાસાયણીક ખાતરોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. જેના ખૂબ સારા પરિણામો મળ્યાં છે.

[google_ad]

 

રાસાયાણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી લોકો ગંભીર બિમારીઓના ભોગ બની રહ્યા છે ત્યારે આ મુશ્કેલીઓના નિવારણ માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઇલાજ છે. પ્રાકૃતિક ખેતી કરીએ તો જમીનમાં ઉંડે રહેલા અળસીયાં બહાર આવે છે. અળસીયાં ખેડુતોના મિત્ર છે. આપણે રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ કરી અળસીયાનો નાશ કર્યો છે. રાજ્યપાલે ખેડુતોને અળસીયાં અને દેશી ગાયોના ફાયદા વિસ્તૃત રીતે સમજાવ્યા હતાં. તેમણે ખેડુતોને દેશી ગાય રાખવાનો અનુરોધ કરતાં જણાવ્યું કે, દેશી ગાય રાખનાર ખેડુતોને રાજય સરકારની યોજના હેઠળ દર મહિને રૂ. 900/ની સહાય આપવામાં આવે છે. રાજ્યપાલે ખેડુતોને એફ.પી.ઓ. બનાવી પોતાની ખેતપેદાશોનો માલ સીધો જ બજારમાં વેચવા પણ જણાવ્યું હતું.

[google_ad]

 

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. આર એમ. ચૌહાણે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશમાં સમયની સાથે કૃષિ ક્ષેત્રે પણ ખુબ બદલાવ આવ્યો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી છે અને ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે ત્યારે વૈદિક અને પ્રાકૃતિક ખેતી અપનાવી બિમારીઓથી દૂર રહી તંદુસ્ત જીવન જીવીએ. તેમણે પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવા ભાર પૂર્વક જણાવ્યું હતું.

[google_ad]

Advt

આ પ્રસંગે પ્રગતિશીલ ખેડુતોનું રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના પ્રદેશ સંયોજક પ્રફુલભાઇ સેજલીયા, બનાસકાંઠાના સંયોજક ભીખાભાઇ ભુટકા, આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર ર્ડા. ડી. વી. બારોટ, કલેકટર આનંદ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, ખેડૂત અગ્રણીઓ સર્વ રામજીભાઇ પટેલ, મેઘરાજભાઇ, જેસંગભાઇ સહીત કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ અને સારી સંખ્યામાં ખેડુત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share