દાંતા-અંબાજી ચાર માર્ગીય રસ્તાનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

- Advertisement -
Share

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના 22 કિ.મી.ના રસ્તાને ચારમાર્ગીય બનાવવાનું કામ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 120 કરોડની માતબર રકમથી પૂર્ણ કરવામાં આવ્યું છે. અંબાજીને જોડતા આ ચારમાર્ગીય રસ્તો, ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ વ્યું પોઇન્ટનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શક્તિપીઠ અંબાજી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

[google_ad]

 

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મિડીયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુંઓ અંબાજી આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. જેનું શનિવારે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

[google_ad]

 

અમદાવાદથી અંબાજી, ડીસા-પાલનપુરથી અંબાજી, હિંમતનગર થી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે, યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવુંએ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ધાર્મિક સ્થળ યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.

[google_ad]

 

અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમણે ઉમેર્યુ કે, દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર-નવાર અકસ્માતો થતાં હતાં આ રસ્તાને ચારમાર્ગીય બનાવવાથી અકસ્માતોને નિવારી શકાશે અને યાત્રાળુંઓની સુરક્ષામાં વધારો થશે. ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યું પોઇન્ટની સુવિધા બનાવાઇ છે. આ જગ્યાએ પરિવાર સાથે બાળકો, યુવાનો અને વડીલો લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા સમયે રોકાઇને હરીયાળીને માણી શકે છે.

[google_ad]

 

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, સંભવિત કોરોનાની ત્રીજી લહેરના મક્કમ મુકાબલા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે સજ્જ છે. મોટા શહેરો અને જીલ્લાની તમામ હોસ્પીટલોમાં સંભવિત ત્રીજી લહેરના સામના માટે અત્યારથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. તેમણે કહ્યું કે, કોઇપણ પ્રકારનો ડર રાખ્યા સિવાય માસ્ક પહેરીએ, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીએ તથા આપણે સૌ કોરોના પ્રતિરોધક રસી મુકાવીએ અને કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવીએ.

[google_ad]

 

 

યાત્રાધામ અંબાજીમાં અંબિકા ભોજનાલય ખાતે જય જલિયાણ ફાઉન્ડેશન તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના દ્વારા માઇભકતો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદનું સદાવ્રત શરૂ કરવામાં આવેલ છે. જય જલિયાણ સદાવ્રતની મુલાકાત લઇ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે માઇભક્તોને ભોજન પિરસ્યું હતું તથા યાત્રિકોને મળી નિઃશુલ્ક ભોજન સદાવ્રત અંગે પ્રતિભાવો પણ મેળવ્યાં હતાં.

[google_ad]

 

 

આ પ્રસંગે સંસદ સભ્ય પરબતભાઇ પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર આનંદ પટેલ, જય જલિયાણ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પ્રવિણભાઇ કોટક, અગ્રણીઓ સર્વ નંદાજી ઠાકોર, ગુમાનસિંહ વાઘેલા, રમેશભાઇ પટેલ, મેરૂજી ધુંખ, જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્ની,લ ખરે, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.એમ.પંડયા સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!