પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે મહિલાનું મોત થતાં પીયર પક્ષને શંકા જતા મહિલાનો દફન કરેલો મૃતદેહ બહાર કઢાવી પી.એમ માટે અમદાવાદ મોકલ્યો હતો. અને ત્યારબાદ એએસપી દ્વારા ઝીણવટ ભરી તપાસ કરાતા મહિલાની હત્યા તેના પતિએ કરી હોવાનું ખુલ્યુ હતું. જેથી મહિલાના પતિ સામે હત્યાનો ગુનો નોંધાતા ચકચાર મચી ગયો છે. બાદરગઢ ગામે રહેતા મધુબેન ફલજીભાઇ માજીરાણાનું તા.4 જૂનના રોજ મોત થયુ હતુ. જેથી પતિએ કુદરતી મોત જાહેર કરી તેના મૃતદેહને પી.એમ.કરાવ્યા વગર તેની દફનવિધી કરી હતી.
ત્યારબાદ તેમના બેસણામાં મહિલાના પીયર પક્ષના લોકો જતાં તેમને શંકા ગઇ કે મધુબેનનું મોત કુદરતી રીતે નહીં પણ હત્યા કરાઈ છે. જેથી મૃતક મહિલાના પરિવારે મૃતદેહનું પી.એમ. કરાવી મૃત્યુનું સાચું કારણ જાણવા પાલનપુર તાલુકા પોલીસમાં જાણવાજોગ ફરિયાદ આપી હતી. જેની તપાસ એએસપી સુશીલ અગ્રવાલને સોંપી હતી. જેથી એએસપી દ્વારા મામલતદાર અને ડોક્ટરની હાજરીમાં 19 જુનના દિવસે દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢી પી.એમ.માટે અમદાવાદ મોકલાવ્યો હતો. તેમજ બીજી બાજુ એએસપી દ્વારા ઝીણવટ ભરી તપાસ કરી હતી.
જેમાં તમાસના અંતે ભાગી પડેલા પતિએ પોલીસ સમક્ષ પત્નિની હત્યા તેને કરી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે મૃતક મહીલાના પતિ ફલજીભાઇ માજીરાણા સામે ફરિયાદ નોંધાઇ હતી કે ‘મધુબેનને તેનો પતિ ઘર ખર્ચ માટે પૈસા ન આપતો અને ઝગડા કરી શારીરીક-માનસીક ત્રાસ આપી તેના ચારિત્ર ઉપર વહેમ રાખી પોતાના રહેણાંક ઘરમાં રાત્રીના સમયે એકલતાનો લાભ લઇ ખાટલામાં મધુબેનના પગને ઇશ સાથે નાયલોનની દોરી બાંધી ગળું દબાવી મોત નિપજાવ્યુ હતુ.
જેથી મહિલાના ભાઇ પ્રવીણભાઇ માજીરાણા (રહે.બસુ,તા.વડગામ)એ તેમના બનેવી ફલજીભાઈ માજીરાણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસ હત્યારા પતિને લાવી કોરોના રિપોર્ટ કરાવી અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.
મહિલાના મોતના પગલે શંકા જતા મૃતક મહીલાના ભાઇએ તપાસની માંગ કરી બનેવીને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા બનેવીએ રડતા-રડતા સમગ્ર હકીકત સાળાને જણાવી હતી. જેથી પોલીસ મૃતક મહીલાના પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha update