આણંદમાં આભ ફાટ્યું હોય એવી સ્થિતિ : નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા, 4 કલાકમાં 7 ઇંચ વરસાદ

- Advertisement -
Share

આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ 2 દિવસમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. હજુ પણ આકાશમાં ઘેરાયેલાં કાળાં ડિબાંગ વાદળો જાણે ધરતીને તરબોળ કરવા તૈયાર હોય એમ જણાઈ રહ્યાં છે. શુક્રવારે સવારે આણંદમાં જાણે આભ ફાટ્યું હોય એમ સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

 

 

 

 

બુધવાર રાત્રિથી શુક્રવાર સવાર સુધીમાં આણંદ તાલુકામાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. દિવસભરના ભારે બફાટ બાદ પવન સાથે ખબકેલા ભારે વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી. વરસાદના આગમને જ આણંદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં નાગરિકોને ભારે હાલાકી ઊભી થઈ છે.

 

 

 

આણંદમાં ખબકેલા ધોધમાર વરસાદે નગરમાં ઠેર ઠેર પાણી કરી દીધું હતું. આણંદ વિધાનગર રોડ, શાસ્ત્રી મેદાન વિદ્યાનગર, આણંદ અંબાજી મંદિર,લક્ષ્મી ટોકીઝ વિસ્તાર, વિદ્યાનગર રોડ લક્ષ્મી સિનેમા ગામડીવડ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો પર ભારે પાણી ભરાયા હતા. જાહેર માર્ગો ઉપર પાણી હોઈ, રોજ સવારે નિયમિત ચાલવા નીકળતા નાગરિકોને હાલ ઘરે જ બેસી રહેવાનો વખત આવ્યો છે. જાહેર માર્ગો ઉપર નદીની જેમ વહેતો ધસમસતો પ્રવાહ નજરે ચઢ્યો હતો. ઘણા ઉત્સાહી નાગરિકો આ માહોલને માણવા ગાડી લઈ નીકળ્યા હતા. તો બીજી તરફ દૈનિક ધંધા-રોજગાર નોકરીએ જતા લોકો પણ આ કારણે અટવાઈ પડ્યા હતા.

 

 

 

 

આણંદમાં વરસાદી આગમનને કારણે નગરપાલિકાએ ચાલુ કરેલી પ્રી-મોન્સૂન કામગીરી અને વિકાસનાં કામોની ગતિ અવરોધાઈ છે. આણંદ જિલ્લાના આજે શુક્રવારે સવારના 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ આણંદ તાલુકામાં 170 મિમી, પેટલાદમાં 48 મિમી અને ખંભાતમાં 22 મિમી, બોરસદ 15 મિમી, આંકલાવમાં 8 મિમી અને સોજીત્રામાં 4 મિમી, તારાપુરમાં 2 મિમી અને ઉમરેઠમાં 1 મિમી સામાન્ય વરસાદ નોંધાયો હતો.

 

 

 

 

હળવદથી 18 કિલોમીટર દૂર આવેલા ચિત્રોડી ગામે આભ ફાટયું હોય એવી સ્થિતિ વચ્ચે જોરદાર વરસાદ તૂટી પડતાં પળવારમાં ગામમાં પાણી પાણીની સ્થિતિ સર્જાઈ હતી. એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રાહ્મણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ જતાં સાંજે પરત ફરી રહેલા બે માલધારીનાં ઘેટાં- બકરાં પણ તણાઈ ગયાં હતાં. જોકે સરકારી તંત્ર હજુ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું છે.

 

 

 

અમેરલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે હરસુરપુર દેવળિયા, શેખપીપરિયા અને વાડળિયા ગામમાં પાણી ભરાયાં હતાં. હરસુરપુર દેવળિયાની સ્થાનિક નદીમાં પૂર આવતાં નદીના પાણી ગામમાં ઘૂસી ગયાં હતાં. જોકે ગામમાંથી વહેતા ધસમસતા પ્રવાહમાંથી અનેક વાહનચાલકોએ પસાર થવાનો જોખમી પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન એક ટૂ-વ્હીલર તણાયું હતું. જોકે એમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરતા તેમનો આબાદ બચાવ થયો હતો.

 

 

 

 

નવસારી જિલ્લામાં મેઘરાજા વહેલી સવારથી ધનાધન વરસતાં આજે ફરી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. શહેરના કાલિયાવાડી વિઠ્ઠલ મંદિર સ્ટેશન રોડ મુખ્ય શાકભાજી માર્કેટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણીને લઈને ભરાઈ જતાં અહીંથી અવરજવર કરતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરતા જનજીવન પર અસર જોવા મળી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!