અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને સુરતની બે મહિલાઓએ જમીનમાં ખાતેદાર બનવા માટે ખોટું પેઢીનામું બનાવી અમીરગઢની ઝાંઝરવા ગ્રામ પંચાયતમાં ખોટી નોંધ પડાવી સરકારી રેકર્ડમાં ચેડા કર્યા હતા. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે બંને સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત ખાતે કાપડના વેપાર સાથે સંકળાયેલા સંજયભાઇ બાલકિશન પોદ્દાર અમદાવાદના દસકોઇ તાલુકાના લીલાપુર ગામે અનંત વિમલ પોદ્દાર અને પ્રમોદ રામાવતાર પોદ્દારની ભાગીદારીમાં જમીન ધરાવે છે. જે જમીનના વેચાણ માટે બાનાખત કરેલું હતુ. જોકે, બંને ભાગીદારોએ સંજયભાઇની સહમતી વગર બાનાખત રદ કર્યુ હતુ. અને ઉષાબેન જેઓ ખેડૂત ન હોવા છતાં તેમના નામે દસ્તાવેજ કર્યો હતો. બીજી તરફ અમીરગઢના ઝાંઝરવા ગામે આવેલી જમીનના ઉતારામાં પણ ઉષાબેનનું નામ હતુ.
આ અંગે તપાસ કરતાં સુમિત્રાબેન સુરેશચંદ્ર ગોયલ અને ઉષાબેન વીમલભાઇ પોદ્દારે એક બીજા મેળાપીપણાથી પેઢીનામા સંબંધે ખોટા દસ્તાવેજી પુરા બનાવી ઝાંઝરવા ગ્રામ પંચાયતમાં ખોટી નોંધ પડાવી ખોટુ શપથપત્ર બનાવી સરકારી રેકર્ડ સાથે ચેડા કર્યા હતા. આ અંગે સંજયભાઇ પોદ્દારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
From – Banaskantha update